Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

બિહારમાં ચૂંટણીના ઉમેદવાર પર ગોળીબાર કરી હત્યા કરાઇ

સમર્થકો પર પણ હુમલો થતા નાસ ભાગ : શિવહરના જનતાદળના ઉમેદવાર નારાયણસિંહ પર હિચકારો હુમલો થતા સારવાર પહેલા મોત નિપજયુ

બિહાર: બિહાર વિધાનસભા ચૂંટણી ( Bihar Elections 2020)  લોહિયાળ બની છે. શિવહરના જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. ઉમેદવાર શ્રીનારાયણ સિંહ (Shree Narayan Singh) પોતાના સમર્થકો સાથે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે આ ઘટના ઘટી. તેમને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું.

કહેવાય છે કે હથસાર ગામમાં પ્રચાર દરમિયાન આ ઘટના ઘટી. પુરણહિયા પોલીસ મથક વિસ્તારની હદમાં શ્રીનારાયણ સિંહ પર ફાયરિંગ કરનારા બે હુમલાખોરોને હાજર લોકોએ ઝડપી પાડ્યા હતાં અને તેમની ખુબ પીટાઈ પણ કરી. લોકોના ગુસ્સાનો ભોગ બનેલા હુમલાખોરો ગંભીર રીતે ઘાયલ થયા જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું કહેવાય છે. એક હુમલાખોર પાસેથી પિસ્તોલ મળી આવી છે.

શિવહર વિધાનસભાથઈ જનતા દળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર શ્રીનારાયણ સિંહ શનિવારે ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતાં. કહેવાય છે કે તેઓ પુરનહિયા પ્રખંડના હથસાર ગામ પાસે જનસંપર્ક કરી રહ્યા હતાં તે વખતે જ બાઈક સવાર બદમાશોએ તેમના પર તાબડતોડ ફાયરિંગ કર્યું. અચાનક ફાયરિંગ થતા અફરાતફરી મચી ગઈ. ગોળી છાતીમાં વાગવાના કારણે શ્રીનારાયણ સિંહ ઘટનાસ્થળે જ લોહીથી લથપથ થઈ ગયા હતાં.

ફાયરિંગ કરીને ભાગી રહેલા બદમાશોને ત્યાં હાજર લોકોએ ઝડપી લીધા. હુમલાખોરોને પણ એટલા માર્યા કે તેમાંથી એકનું મોત થઈ ગયું. આમ શિવહર જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ  લોકોના મોત થયા છે. ઉમેદવાર ઉપરાંત તેમના એક સમર્થકનું અને એક હુમલાખોરનું મોત થયું છે.

અત્રે જણાવવાનું કે શ્રીનારાયણ સિંહ આરજેડીના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે અને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા હતાં.

(12:25 pm IST)