Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ખેડૂત આંદોલન : ગૃહમંત્રાલયની ઇમરજન્સી બેઠક : 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ : ખેડૂત નેતાઓએ ગણાવ્યો અસામાજિક તત્વોનો હાથ

રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયે તાકિદની બેઠક બોલાવી છે. જેમાં કેટલાય અધિકારીઓ શામેલ છે. દિલ્હીમાં હાલની સુરક્ષાને લઈને બેઠક થઈ રહી છે. વચ્ચે ખેડૂતો લાલ કિલ્લાથી પરત સિંધુ બોર્ડર તરફ વળી રહ્યા છે. સંયુક્ત કિસાન મોર્ચા તરફથી મળેલા આદેશ પછી ખેડૂતો પરત સિંધુ બોર્ડર પર જઈ રહ્યા છે.

સંયુક્ત કિસાન મોર્ચા તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, અમારા તમામ પ્રયાસો છતાં કેટલાક વ્યક્તિઓએ માર્ગનું ઉલ્લંઘન કરીને નિંદનીય કૃત્ય કર્યું છે. અસામાજીક તત્ત્વોની ઘૂસણખોરી કરી. પરંતુ આંદોલન શાંતિપૂર્ણ રહ્યું. અમે દેશને કહ્યું કે શાંતિ અમારી તાકાત છે અને હિંસા એવા આંદોલનને નુકસાન પહોંચાડે છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આજે પરેડમાં ભાગ લેવા માટે તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તે ઘટનાઓની નીંદા પણ કરીએ છીએ. જે આજે થઈ છે. આવા કાર્યોમાં ઘૂસી જનારાઓથી પોતાની જાતને અલગ કરી લેવી જોઈએ.

જણાવી દઈએ કે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ તરફથી ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યો કે તો પરત સિંધુ બોર્ડર પહોંચી જાય. સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર, મુકરબા ચોક અને નાંગલોઈમાં ઈન્ટરનેટ સેવા રાત્રે 12 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. નોએડા - દિલ્હી બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતો દ્વારા દિલ્હી તરફતી આવનારો રસ્તો ખાલી કરાવી લીધો છે. પોલિસ પ્રશાસન અને ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ યોગેશ પ્રતાપે ખેડૂતોને ધરણા પૂર્ણ કરવા કહ્યું છે. ખેડૂતો દ્વારા પ્રશાસન પાસે માગ કરાઈ છે કે જે ખેડૂતો પર ગુંડા એક્ટ લાગ્યો છે અથવા અન્ય મામલા દર્જ કર્યા છે તે પરત લેવામાં આવે. પોલિસે પણ ખેડૂતોની માગ માની લઈ દિલ્હીથી આવનારા રસ્તા ખોલી દેવામાં આવ્યા છે.

ખેડૂતોની ટ્રેક્ટર પરેડ તેના નિયત રુટથી હટીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. દરમ્યાન ઠેરઠેર દિલ્હી પોલીસ અને ખેડૂત પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું. પહેલા આઇટીઓ વિસ્તાર પર સ્થિતી વધુ વણસી. અહીં પોલીસના જવાનો અને ખેડૂતો આમને સામને આવી ગયા જેના કારણે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. પ્રદર્શન કરી રહેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિઅર ગેસના સેલ પણ છોડ્યા. વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોલીસના વાહનોને પણ નિશાન બનાવાયા તો અનેક બસોમાં પણ મોટા પાયે તોડફોડ આચરવામાં આવી.

ખેડૂતો પોતાના નિશ્ચિત રૂટને છોડીને બીજા રસ્તા પર આગળ વધ્યા. જેમાં ઘણી જગ્યાએ હિંસાના દ્રશ્યો સામે આવ્યા. નોંધનીય છે કે જે રૂટ પર ખેડૂતોને રેલી કરવાની મંજૂરી નથી ત્યાં બળપ્રયોગ કરીને તેઓ ઘૂસી રહ્યા છે. આઉટર રિંગ રોડ પર પણ માર્ચ કાઢવામાં આવી હતી. તો ગાઝીપુર બોર્ડરથી નીકળેલી ખેડૂતોની રેલીનો એક ભાગ આઈટીઓ પહોંચી ગયો. ગાઝીપુર બોર્ડરના ખેડૂતોને અક્ષરધામ પાસ કરીને અપ્સરા બોર્ડર બાજુ જવાનું હતું. પરંતુ તેઓ લાલ કિલ્લા તરફ જવાનો પ્રયાસ કર્યો. દરમિયાન ગણતંત્ર દિવસ સમારોહ સુરક્ષામાં તૈનાત તમામ પોલિસ કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.

(5:02 pm IST)