Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ખર્ચ ઘટાડવા અનેક પગલા

યસ બેંક દેશભરમાં ૫૦ શાખાઓ કરશે બંધ

મુંબઇ, તા.૨૬: યસ બેંક પોતાની ૫૦ બ્રાન્ચ બંધ કરવા જઈ રહ્યુ છે. હકીકતમાં નવી પોલીસી અંતર્ગત ખાનગી ક્ષેત્રમાં યસ બેંક ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સંચાલન ખર્ચમાં પણ ૨૦ ટકાનો કાપ મુકવા જઈ રહ્યા છે.

યસ બેંકના નવા સીઈઓ અને ડાયરેકટર પ્રશાંત કુમારે કહ્યુ હતું કે, બેંકને પાટા પર લાવવા માટે બિનજરૂરી સ્થળોને પાછા લેવામાં આવી રહ્યા છે. સાથે જ ભાડે પર રાખેલી જગ્યાઓ પર નવા ભાડા સાથે નવી રીતે વાતચીત કરવામાં આવી રહી છે.

કુમારે કહ્યુ હતું કે, મોટા ડિફોલ્ટરો કોર્ટના શરણે જઈ રહ્યા છે. જેના કારણે મુંબઈની આ બેંકને ઋણ વસૂલવામાં મુશ્કેલીઓ આવી રહી છે. યસ બેંકના સહ સંસ્થાપક તથા કાર્યકારી રાણા કપૂરના કાર્યકાળમાં કામકાજમાં અને સંચાલનમાં કેટલીય ખામીઓ સામે આવ્યા બાદ ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં જોડાણ કરી બેંકમાં રકમ જમા કરાવીને આ બેંકને ડૂબતા બચાવી લેવામાં આવી હતી. ત્યાર બાદ માર્ચમાં કુમારને આ બેંકના નવા પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવ્યા હતા.

કુમારે જણાવ્યુ હતું કે, બેંકે મધ્ય મુંબઈના ઈંડિયાબુલ્સ ફાઈનાન્સ સેન્ટરમાં પહેલા બે ફ્લોર છોડી દીધા છે. આ ઉપરાંત બેંક તમામ ૧૧૦૦ શાખાઓ માટે ભાડા પર નવેસરથી વાતચીત કરશે. આ પ્રક્રિયાથી બેંકોના ભાડામાં લગભગ ૨૦ ટકાનો દ્યટાડો થવાની સંભાવના છે. તેથી તેના સુચારૂ સંચાલન માટે યસ બેંક ૫૦ શાખાઓને બંધ કરી રહી છે. આ એવી શાખા છે, જે એકદમ નજીક નજીકમાં આવેલી છે. ત્યારે આર્થિક સંકટ જોતા આ યોગ્ય નથી. સાથે જ એટીએમની સંખ્યા પણ યોગ્ય કરવામાં આવશે.

(10:19 am IST)