Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોરોના કેડો મુકતો નથીઃ રાજકોટ શહેર-જીલ્લામાં આજે ૧૫ના મોત

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૨૨૦ બેડ ખાલી

રાજકોટ, તા. ૨૬: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાનાં રાજકોટ શહેર અને જીલ્લામાં સતત ચાર દિવસ મૃત્યુ આંકમાં ઘટાડો થયા બાદ ગઇકાલ કરતા  આજે વધુ  મોત થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં કોરોનાએ ૧૫નાં જીવ લીધા છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ કોવીડ-નોન કોવીડ થી તા.૨૫નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૬ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૫ દર્દીનાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુ જાહેર કરવામાં આવતા લોકોમાં ભારે અસમંજસતા ફેલાઇ રહી છે. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૨૨૦ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે .

છેલ્લા પાંચ  દિ'ના મૃત્યુુઆંક

શહેર-જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમ્યાન છેલ્લા પાંચ દિવસમાં  એટલે કે, સોમવારે - ૨૧, મંગળવારે - ૧૯ ,  બુધવારે - ૧૭ ,  ગુરૂવારે - ૧૬નાં  તથા ગઇકાલે માત્ર ૧૨નાં મોત થયા છે.

(12:00 am IST)