Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાજસ્થાનમાં આદિવાસી આંદોલનનો અંત :ધરણા સમાપ્ત થયાની જાહેરાત : બ્લોક કરાયેલા રસ્તાઓ ખુલવા લાગ્યા

અમદાવાદ - ઉદેપુર હાઇવે ફરી એકવાર પુર્વવત્ત કરાતા ધીરે ધીરે ટ્રાફીક ઘટી રહ્યો છે

શિક્ષક ભરતી આંદોલન મુદ્દે રાજસ્થાન સરકાર સુપ્રીમકોર્ટમાં જશે. ડુંગરપુર પાસે કાંકરીડુંગર પાસે ધરણા સમાપ્ત થયાની જાહેરાત થઇ હતી. જેના પગલે ગુજરાત તરફનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. ડુંગરપુર પાસે કાંગરી ડુંગરી પાસે ધરણા સમાપ્ત થયા હતા. ખેરવાડામાં યોજાયેલી સંયુક્ત બેઠક જેમાં કોર્ટમાં જવાના મુદ્દે તમામ પક્ષોમાં સંમતી સધાઇ હતી. સીએમ ગેહલોતના નિર્દેશના આધારે શરતી સમાધાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામાજિક, રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અમદાવાદ - ઉદેપુર હાઇવે ફરી એકવાર પુર્વવત્ત કરવામાં આવતા ધીરે ધીરે ટ્રાફીક ઘટી રહ્યો છે. ગુજરાત પોલીસ અને રાજસ્થાન પોલીસ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફીક ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,શામળાજી હાઇવે પરનો ટ્રાફીક અંબાજી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રસ્તા પર સળગાવી દેવાયેલા વાહનો પણ પોલીસ દ્વારા ખસેડવાની કામગીરી આરંભવામાં આવી છે.

રાજસ્થાન હાઇવે પર આદિવાસી આંદોલન હિંસક બન્યું હતું. અનેક વાહનો સળગાવવામાં આવ્યા હતા. ગુજરાત તરફના આદિવાસી સંગઠનો દ્વારા પણ આ આંદોલનને સમર્થન આપવામાં આવ્યું હતું. જેના કારણે ગુજરાતમાં પણ આ આંદોલનની આંચ ન પહોંચે તે માટે ગુજરાત સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે શામળાજી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઇવે પર બેરિકેડિંગ કરીને હાઇવે બંધ કરવામાં આવતા સમગ્ર હાઇવે પર કિલોમીટરો લાંબી વાહનોની લાઇનો લાગી હતી.

(11:52 pm IST)