Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ફ્રાન્સમાંથી રાજદૂત પાછા બોલાવવા પાક.નો પ્રસ્તાવ

તુર્કી અને ફ્રાન્સના વિવાદમાં પાકિસ્તાન કૂદયું : પાકિસ્તાનમાં ફ્રાન્સ સામેનો પ્રસ્તાવ વિના વિરોધે પસાર

ઈસ્લામાબાદ, તા. ૨૭ : તુર્કી સાથેના ફ્રાંસના વિવાદમાં પાકિસ્તાન ખાલીખોટું કુદી રહ્યું છે. હવે પાકિસ્તાનની સંસદના બંને સદનોમાં આ મામલે નિર્વિરોધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. નેશનલ એસેમ્બલીનો પ્રસ્તાવ આકરો હતો. આ પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમ્મૂદ કુરેશીએ રજુ કર્યો હતો. વિરોધ પક્ષોએ પણ સદનમાં ફ્રાંસને લઈને એક પ્રસ્તાવ પસાર કર્યો છે અને ફ્રાંસમાંથી પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવવાની માંગણી કરી છે.

પાકિસ્તાનની સંસદમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તવાનમાં ઈસ્લામિક સહયોગ સંગઠનને ૧૫ માર્ચે ઈસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રિય દિવસ જાહેર કરવાની અપીલ કરી છે. ઓઆઈસીના સભ્ય દેશોને ફ્રાંસમાં બનેલી વસ્તુઓનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પ્રસ્તાવમાં બિન- ઓઆઈસી દેશોને ત્યાં રહી રહેલા મુસલમાનોને કાયદાકીય મદદ પુરી પાડવાની પણ અપીલ કરી છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રને ઈસ્લામોફોબિયા સામે લડવા પગલા ભરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સંસદે ફ્રાંસના રાષ્ટ્રપતિની ટિપ્પણીને ઈસ્લામોફોબિયાથી ગ્રસ્ત ગણાવ્યા છે. પ્રસ્તાવ પસાર થયા બાદ પાકિસ્તાની સંસદના ઉપાધ્યક્ષ કાસિમ સુરીએ ફ્રાંસને પાકિસ્તાનના રાજદૂતને તત્કાળ પાછા બોલાવવાની માંગણી કરી છે. પ્રસ્તાવમાં ફ્રાંસમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત ઈસ્લામોફોબિયા અને ઈસ્લામ પર કથિત હુમલાનું સંજ્ઞાન લેતા પૈગંબર મોહમ્મદના કાર્ટૂનને ફરીથી પ્રકાશિત કરવાના પગલાની ટિકા કરવામાં આવી છે. સદનન નેતા ડૉ, શહબાઝ વસીમે કહ્યું છે કે, જ્યારે સરકારો આવા નિંદનિય પગલાઓનું સમર્થન કરવા લાગે છે તો જુદા જુદા ધર્મો વચ્ચે વિવાદ, અલગાવ અને મતભેદ વધે છે.સંસદમાં કહેવામાં આવ્યું છે કે, પૈગંબર મોહમ્મદ પ્રત્યે અપાર આસ્થા નિશ્ચિત રીતે ઈસ્લામનો ભાગ છે. અને કોઈ પણ મુસ્લીમ અભિવ્યક્તિની સ્વતંત્રતના નામે આ પ્રકારના ઘુણિત ગુનાઓ સાંખી નહીં લે. સંસદમાં મુસ્લીમો અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી ઘટનાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સેનેટના ચેરમેન સાદિક સંજરાનીએ સ્ટાફને નિર્દેશ આપ્યા છે કે, આ પ્રસ્તાવની કોપી પાકિસ્તાનમાં ફ્રાંસના રાજદૂતને પણ મોકલી આપવામાં આવે.

સત્તા અને વિરોધ પક્ષના નેતાઓએ ફ્રાંસ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કરવાની માંગણી કરતા કહ્યું છે કે, ફ્રાંસમા સામાનોનો પણ બહિષ્કાર કરવો જોઈએ. જમાત-એ-ઈસ્લામીના સાંસદ સિરાજ-ઉલ-હકે કહ્યું હતું કે, ફ્રાંસના ૧.૫૨ અબજ મુસ્લીમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. સિરાજે આ મુદ્દે ઓઆઈસીની બેઠક બોલાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે, તમામ મુસ્લીમ દેશોએ એકજુથ થવુ જોઈએ. જ્યારે સેનેટર હકે કહ્યું છે કે, ઓઆઈસીમાં પાકિસ્તાને આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફ્રાંસ પર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને વિદેશ મંત્રી મહમૂદ કુરેશીએ મેક્રોન પર નિશાન તાક્યું હતું. તેમણે મેક્રોનના નિવેદનને બિનજવાબદાર અને આગમાં ઘી હોમનારૂ ગણાવ્યું હતું.

(9:17 pm IST)