Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

ગુજરાતમાં કોવિડ હોસ્પિટલો બની ખતરારૂપઃ ૩ મહિનામાં આગની ૭મી ઘટનાઃ ૧૩નાં મોત

અમદાવાદની શ્રેય હોસ્પિટલની આગની ઘટનામાં ૮ દર્દી જીવતા ભડથું થયા હતાઃ ત્યારબાદ બોડેલી, જામનગર, સુરેન્દ્રનગર, વડોદરા, અમદાવાદ અને હવે રાજકોટમાં ફરી આગની ઘટના ઘટી છે

અમદાવાદ, તા.૨૭: રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ ૩૩ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે ૩૩ દર્દીઓ પૈકી ૧૧ દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા. આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા ૧૧ પૈકી ૫ જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા ૨૨ દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્કયુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 

  ત્રણ ઓકટોબરઃ રાજયમાં કોરોના વાયરસની સારવાર કરી રહેલી હોસ્પિટલોને જાણે અકસ્માતનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદની હૃદય હોસ્પિટલમાં કોવિડના દર્દીઓના જીવ જોખમમાં મૂકાયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર છે. અમદાવાદના ટાઉન હોલ વિસ્તારમાં આવેલી હૃદય કોવિડ હોસ્પિટલમાં ઓકિસજન લીકેજની ઘટના બની હતી. જોકે, બનાવ બનતાની સાથે જ દર્દીઓને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્રના દાવા મુજબ સબ સલામત હતા.

૨૯ સપ્ટેમ્બરઃ સુરેન્દ્રનગર ખાતે આવેલી કોવિડ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં આગ લાગતા અફરાતફરી મચી જેવા પામી છે. આ પહેલા અમદાવાદ, જામનગર ખાતે હોસ્પિટલોમાં આગ લાગી ચૂકી છે. હવે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં આગ લાગતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, અહીં સદનસિબે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા કોઈ જાનહાની થઈ ન હતી. બીજી તરફ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણને લીધે વિવાદમાં આવતી રહે છે. દર્દીની સારવાર હોય, ઓકિસજન હોય કે પછી ગંદકીની વાત હોય, ગાંધી સિવિલ હોસ્પિટલ હંમેશા ચર્ચામાં રહી છે.

છ ઓગસ્ટઃ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને કારણે કોરોનાનાં ૮ દર્દીઓનાં મોત થયા હતા. આગ આઈસીયૂમાં લાગી હતી. આગની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ એક તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલના માલિક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 ૧૨ ઓગસ્ટઃ છોટાઉદેપુરના બોડેલી ખાતે આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. આ આગ શોર્ટ-સક્રિટને કારણે લાગી હતી. વહેલી સવારે આ આગ લાગી હતી. બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે, અહીં તાલુકાના પોઝિટિવ દર્દીઓને રિફર કરવામાં આવે છે. વહેલી સવારે કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યારે એક રૂમમાં સોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે બાદમાં દર્દીઓને એ રૂમમાંથી બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા હતા.

 ૨૫ ઓગસ્ટઃ સૌરાષ્ટ્રના પ્રથમ ક્રમની અને ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી જી.જી.હોસ્પિટલમાં આગ લાગી ગઈ હતી. આગ ICCUના બાજુમાં આવેલા ઇકો કાર્ડિયોગ્રામ રૂમ માં લાગી હતી. આગને કારણે ઇકો મશીન બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગ્યા બાદ અહીં સારવાર લઈ રહેલા નવ દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આગ લાગ્યા બાદ રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે

 ૨૬ ઓગસ્ટઃ સાબરકાંઠાના એક PHCમાં આગની બનાવ સામે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે હિંમતનગરના હડિયોલ PHCમાં આગ લાગી હતી. PHCના એક રૂમમાં આગ લાગી જતાં આખા દવાખાનામાં ધૂમાડાની અસર જોવા મળી હતી. સ્ટાફને આ અંગેની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક દોડી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ-સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. અહીં સારવાર લઈ રહેલી એક માતા અને બાળકને બચાવી લેવામાં આવ્યા છે.

 ૮ સપ્ટેમ્બરૅં વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અહીં એક વેન્ટિલેટરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ક્રિટિકલ કેરમાં ૧૫૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. ૮ સપ્ટેમ્બર વડોદરાની સર સયાજીરાવ હોસ્પિટલના  આઈસીયુમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અહીં એક વેન્ટિલેટરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગી હતી ત્યારે હોસ્પિટલમાં ક્રિટિકલ કેરમાં ૧૫૦થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.

(10:29 am IST)