Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

એઇમ્સની ટીમને સુશાંતના શરીરમાંથી ઝેર મળ્યું નથી

ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી ખુલી : એઇમ્સની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર ઘણા સવાલ ઉઠાવ્યા : ઓટોપ્સી રિપોર્ટ બાકી

મુંબઈ, તા. ૨૯ : સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે એમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, સીબીઆઈની ટીમ કેસમાં આત્મહત્યા માટે ઉકસાવવાના એન્ગલથી આગળ વધશે. રિપોર્ટ પ્રમાણે, સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. એમ્સની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

એમ્સના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે'. સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે, એમ્સ ટીમના એક ડોક્ટરે મને જાણ કરી હતી કે, સુશાંતનું મૃત્યુ હત્યાના કારણે નહીં ગળુ દબાવવાના કારણે થયું છે. જો કે, ડોક્ટરે તમામ દાવાને નકારી દીધા હતા.

(7:43 pm IST)