Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

નવી કૃષિ નીતિના વિરોધમાં પાંચ નવેમ્બરે ખેડૂતોનું દેશભરમાં ચક્કાજામ

૨૬મી અને ૨૭મી નવેમ્બરે સંપૂર્ણ દેશના ખેડૂતો દિલ્હી આવશે અને સંસદનો ઘેરાવ કરશે

નવી દિલ્હી, તા.૩૦: કેન્દ્ર સરકારના સમર્થકો કહી રહ્યા છે કે નવા કૃષિ કાયદાઓનો વિરોધ ખેડૂતો નહીં, પણ વિરોધીઓ કરી રહ્યા છે. તેના જવાબમાં દેશભરના ખેડૂતોનાં સંગઠનોએ મંગળવારે દિલ્હીમાં બેઠક યોજી હતી જેમાં નિર્ણય લેવાયો કે કૃષિ સંબંધિત ત્રણેય નવા કાયદાને પાછા ખેંચવા માટે સરકાર સાથે ચર્ચા ચાલુ રાખવામાં આવશે અને આંદોલન પણ કરવામાં આવશે. શાંતિપૂર્ણ ઉકેલ ન આવે તો આંદોલન ચાલુ જ રહેશે. તેથી પાંચમી નવેમ્બરે દેશભરમાં બપોરે ૧૨ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચક્કાજામ કરવામાં આવશે. ૨૬મી અને ૨૭મી નવેમ્બરે સંપૂર્ણ દેશના ખેડૂતો દિલ્હી આવશે અને સંસદનો ઘેરાવ કરશે. દેશભરના ખેડૂતોનાં સંગઠનોને એક કરવા માટે પાંચ સભ્યવાળી કમિટી પણ બનાવવામાં આવી છે.

દિલ્હીમાં ૨૭મી નવેમ્બરે યોજાયેલી આ બેઠકમાં સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ, સામાજિક કાર્યકર્તા મેધા પાટકર, મધ્ય પ્રદેશના ખેડૂતોના નેતા સુનીલમ, પંજાબના પ્રમુખ કિસાન નેતા દર્શન સિંહ સામેલ હતા. ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પ્રદેશના એક મોટા ખેડૂત સંગઠને બેઠકમાં ભાગ ન લીધો હોવાને કારણે પણ સવાલ ઊભા થયા હતા, પરંતુ ખેડૂતોના નેતાઓએ કહ્યું હતું કે દરેક સાથે ચર્ચા કરીને તેમને એકસાથે લાવવાના પ્રયાસ કરવામાં આવશે.

એપીએમસીમાં અનાજના વેચાણ પર ટેકસ ભરવો પડે છે, પરંતુ ખુલ્લા બજારમાં અનાજ વેચવા પર ટેકસ નહીં ભરવો પડે. તેથી વેપારીઓ વધુ લાભ મેળવવા ખુલ્લા બજારમાંથી જ ખરીદવાનું પસંદ કરશે અને એપીએમસી વ્યવસ્થા નબળી પડશે અથવા બંધ થઇ જશે, એમ મધ્ય પ્રદેશના ખેડૂતોના નેતા સુનીલમે જણાવ્યું હતું.

(10:13 am IST)