Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

બપોર સુધીમાં કોરોનાના માત્ર ૧૩ કેસ : કુલ આંક ૮૪૯૮એ પહોંંચ્યો

ગઈકાલે ૭૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ૭૮૦૨ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૯૧.૯૫ ટકા થયો

રાજકોટ,તા.૩૦: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ઘટતુ જાય છે ત્યારે શહેરમાં  બપોર સુધીમાં માત્ર ૧૩ કેસ નોંધાતા લોકોએરાહતનો શ્વાસ લીધો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૮૪૯૮  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૭૮૦૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૧.૯૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૨૭૩  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૭૪ ટકા થયો  હતો. જયારે ૭૦  દર્દીઓને સાજા થયા હતા.  છેલ્લા  સાત મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૩,૩૯,૯૩૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૮૪૯૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૪૯ ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની પરિસ્થિતિએ    વિાલનગર - યુનિવર્સિટી રોડ, નારાયણનગર- ઢેબર રોડ, કીડવાઇનગર- ૧૫૦ ફૂટ રીંગ રોડ, અંબાજી કડવા પ્લોટ - ગોંડલ રોડ, સુમંગલ પાર્ક - કોઠારિયા રોડ, જયપ્રકાશ નગર - ભગવતી પરા, જસાણી પાર્ક - એરપોર્ટ રોડ, બજરંગ વાડી સહિતના વિસ્તારોમાં નવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે હાલમાં ૩૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ  કાર્યરત છે.

૩૭ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૧૦ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૩૭,૭૬૫ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૦ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.  જ્યારે ગાંધીગ્રામ, ભારતીનગર, અક્ષરનગર, ભીસ્તીવાડ, પેડક રોડ, નવલનગર, ગીતાનગર રણછોડનગર સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૨૫૦ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:08 pm IST)