૨૪ કલાક એટીએમ ચાલુ રહે છે
ગરીબોનું પેટ ભરવા 'રાઇસ એટીએમ' ચલાવે છે આ હૈદ્રાબાદી : કુલ ૧૫,૦૦૦ લોકોને મદદ
હૈદ્રાબાદ,તા. ૧: કોરોના વાયરસ પછી અનેક લોકોને બે ટંકના ભોજનના પણ ફાફા પડે છે. જોકે, આ દરમિયાન અનેક બીનસરકારી અને સરકારી સંગઠનો તેમજ નેકદિલ વ્યકિતઓ જમીન પર ઉતરી આવ્યા હતાં. જેમાંથી એક છે હૈદરાબાદના Ramu Dosapati, જેણે ગરીબ અને અસહાય લોકોની મદદ માટે 'રાઇસ એટીએમ'ની શરુઆત કરી હતી. જે તેમને ખાવા-પીવાની જરુરી ચીજો ઉપલબ્ધ કરાવે છે.
'રામુ દોસપાટીનું #Rice ATM ચોવીસ કલાક ખુલ્લું રહે છે. જો કોઈ પાસે ખાવા માટે કશું જ ન હોય તો એલબી નગર સ્થિત તેના ઘરે જઈને કરિયાણું અને આખી કિટ લઈ શકે છે.'
રામુ છેલ્લા ૧૭૦ દિવસોથી જરુરિયાતમંદ લોકોને કરિયાણું આપી રહ્યાં છે. તેમના ઘરની સામે રહેલી કરિયાણા સ્ટોર પર ચોખા લેવા માટે મહિલાઓ અને પુરુષોની લાઈનો લાગે છે. તેઓ અત્યાર સુધીમાં પોતાના ગાંઠના ૫ લાખ રુપિયા ખર્ચીને આશરે ૧૫ હજાર લોકોની મદદ કરી ચૂકયો છે. સુંદર વાત તો એ છે કે, તેના આ નેક કામમાં દ્યણાં લોકોએ સાથ આપ્યો હતો.
રિપોર્ટ અનુસાર, રામુએ એક સિકયોરિટી ગાર્ડને ભૂખ્યા મજૂરોની મદદ માટે ૨ હજાર રૂપિયા ખર્ચતા જોયો હતો. જેથી તેને અહેસાસ થયો કે, જયારે ૬ હજાર રુપિયાથી ઓછું કમાનાર ચોકીદાર મુશ્કેલ સમયમાં લોકોની મદદ કરી શકે છે તો શું દર મહિને એક લાખ કમાનાર એચઆર મેનેજરે માત્ર પોતાના ઘરમાં જ બેસીને પરિવાર વિશે વિચારવું જોઈએ? નોંધનીય છે કે, રામુ MBA ગ્રેજયુએટ છે અને સોફ્ટવેર ફર્મમાં HR મેનેજર છે.