ભારતીય રેલવે દ્વારા દક્ષિણ ભારત અને દિલ્હી વચ્ચે પ્રથમ કિસાન રેલ સેવા શરૂ
અનંતપુરમ અને નવી દિલ્હીમાં આઝાદપુર મંડી વચ્ચે પ્રથમ 'કિસાન રેલ'નું સંચાલન
નવી દિલ્હી:ભારતીય રેલવે દ્વારા દક્ષિણ ભારત અને દિલ્હી વચ્ચે પ્રથમ કિસાન રેલ સેવા શરૂ કરાઈ છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા લીલી ઝંડી બતાવી ટ્રેનને રવાના કરી હતી. આ સમારોહમાં રેલવે રાજ્યપ્રધાન સુરેશ અંગડી પણ હાજર રહ્યા હતા.ટ્રેનમાં 322 ટન ફળો રાખવામાં આવ્યા છે. 14 પાર્સલ વાનવાળી આ ટ્રેન 40 કલાકમાં 2150 કિમીનું અંતર કાપશે. 14 પાર્સલ વાનમાંથી, નાગપુર માટે 04 વાન લોડ અને આદર્શ નગર માટે 10 વાન છે. સામાન્યરીતે ટ્રેનને અંતર કાપવામાં લગભગ ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના ફળ અને શાકભાજી મોટા પ્રમાણમાં બગડે છે.
બાગાયત સાથે સંકળાયેલા લોકોને દક્ષિણ ભારતની પ્રથમ અને દેશની બીજી ખેડૂત રેલનો લાભ મળશે. આ ટ્રેનથી ખેડૂતોની ઉપજ ટૂંક સમયમાં બજારમાં પહોંચી જશે. વર્તમાન પરિવહન પ્રણાલીમાં, ટ્રકો દ્વારા પરિવહનના કારણે 25 ટકા ખેડૂતોનું વાર્ષિક આશરે 300 કરોડનું નુકસાન થાય છે. અઠવાડિયામાં એકવાર કિસાન રેલ સંચાલન કરવાની યોજના છે.