લ્યો બોલો...મુકેશ અંબાણીને ચૂનો લગાડ્યોઃ ઈડીએ રાજકોટની સંપત્તિ જપ્ત કરી
ભારતમાં ઠગભગતોની કોઈ અછત નથીઃ દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રીલાયન્સ સાથે છેતરપીંડીનો કેસ સામે આવ્યો : કલ્પેશ દફતરી નામની વ્યકિત ઉપર આરોપઃ ઈડીએ કાર્યવાહી કરી રાજકોટ સ્થિત ૪ કોમર્શિયલ પ્રોપર્ટી અને મુંબઈનું એક બીઝનેશ સંકુલ જપ્ત કર્યુઃ વિશેષ કૃષિ અને ગ્રામોદ્યોગ યોજના સાથે ૧૩ લાયસન્સમાં ગોલમાલ કરી રીલાયન્સને વેચી મારી
નવી દિલ્હી, તા. ૧૫ :. આપણા દેશમાં ગઠીયાઓની કોઈ અછત નથી. લોકો છેતરપીંડી કરી બીજાને છેતરવા માટે અનેક પ્રકારની રીત અજમાવતા હોય છે. એક માણસે તો દેશના સૌથી શ્રીમંત માણસ મુકેશ અંબાણીને જ ચુનો લગાવી દીધો. હવે આ કૌભાંડી વ્યકિતની ૪.૮૭ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
એક માણસે કંપની બનાવી, મોટા મોટા દાવા કર્યા અને ચૂનો લગાવ્યો સીધે સીધો રીલાયન્સ કંપનીને અને એ પણ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને. હવે ઈડી એ માણસની કંપનીની ૪.૮૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ છે કલ્પેશ દફતરીની. જેની કંપનીનું નામ સંકલ્પ ક્રિએશન પ્રા.લી. છે અને તે તેનો ડાયરેકટર છે. જપ્ત કરવામાં આવેલ સંપત્તિમાં મુંબઈ સ્થિત એક કોમર્શિયલ સંકુલ અને રાજકોટ સ્થિત ૪ કોમર્શિયલ પ્રોપર્ટીઝ પણ સામેલ છે.
ઈડીનો આરોપ છે કે કલ્પેશ દફતરીએ કેટલાક લોકોની સાથે મળીને વિશેષ કૃષિ અને ગ્રામોદ્યોગ યોજનાની સાથે ૧૩ લાયસન્સો સાથે છેતરપીંડી કરી અને તેને હિન્દુસ્તાન કોન્ટીનેન્ટલ લિ. નામની કંપનીના ચલણ હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને વેચી દીધા. કલ્પેશ સાથે આ કૌભાંડમાં નિયાઝ અહેમદ, પીયુષ વિરમગામા, વિજય ગઢીયા વગેરેના નામ છે. ઈડીના જણાવ્યા પ્રમાણે તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે વિવિધ કંપનીઓના ખાતામાં ૧૩ વિશેષ કૃષિ અને ગ્રામોદ્યોગ યોજના લાયસન્સ વેચવા માટે ૬.૮ કરોડ રૂપિયા આરોપીઓને મળ્યા હતા. આ રકમને અનેક કંપનીઓમાં ફેરવ્યા એટલે કે એક કંપનીથી બીજી કંપની સુધી બાદમાં આ પૈસાનો ઉપયોગ કલ્પેશ દફતરી અને અન્ય લોકોએ કર્યો.
ઈડીએ જારી કરેલી પ્રેસ રીલીઝમાં કહ્યુ છે કે સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. સીબીઆઈએ કલમ ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૭-એ આ ઉપરાંત પ્રિવેન્શન ઓફ કરપ્શનની કલમ ૧૩(૨) અને ૧૩(૧) (ડી) હેઠળ કેસ નોંધ્યો છે. તે પછી ઈડીએ તપાસ કરી સંપતિ જપ્ત કરી હતી.