કોરોનાએ રાજકોટમાં આજે વધુ ૨૬ના જીવ લીધા
શહેરમાં ૨૦, જીલ્લામાં ૪ તથા અન્ય જીલ્લામાં ૨ને કોરોના ભરખી ગયોઃ સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ
રાજકોટ, તા. ૧૬: વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટમાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૨૬ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. શહેરમાં ૨૦, જીલ્લાનાં ૪ તથા અન્ય જીલ્લાનાં ૨ સહિત કુલ ૨૬ દર્દીઓના મોત થયા છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેરમાં ૧, અને જીલ્લામાં ૧ મૃત્યુની નોંધ થઇ નથી.
આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૫નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૧૬ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૨૬ દર્દીઓનાં મૃત્યુ થયા છે. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.