મેડિકલ વિમામાં કોરોના ઇલાજનો સંપૂર્ણ ખર્ચ કવર નથી
અનેક લોકો હોસ્પિટલ અને વિમા કંપનીના ચક્કરમાં ફસાય છે
નવી દિલ્હી તા. ૧૬ : વિમા નિયામક ઇરડાના જણાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય વિમામાં કોરોના કવર આપવું અનિવાર્ય છે. આમ છતાં કોરોના દર્દી હોસ્પિટલ અને વિમા કંપનીના ચક્કરમાં ફસાતા હોય છે. તેઓને પૂરતી વળતર મળતું હોતું નથી. આ અંગે વિમા ઉદ્યોગનું કહેવું છે કોરોનાના ઇલાજ દરમિયાન અનેક સ્થિતિ એવી છે જેમાં વિમા કંપની કવર આપી શકતી નથી. તેમાં ઘર પર ઇલાજ કરાવવા સહિત અનેક બિન મેડીકલ ખર્ચ સામેલ છે. એવામાં તમે ફકત સ્વાસ્થ્ય પોલીસીના સહારે કોરોનાનો ઇલાજ કરાવવાને લઇને નિરાંત રાખી નથી શકતા.
નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય વિમા પોલીસી જ્યારે લેવામાં આવે છે ત્યારે કંપની ૧૫ થી ૩૦ દિવસની પ્રતિક્ષા અવધી આપતી હોય છે. નિયમ મુજબ જો વેઇટીંગ પિરીયડની અંદર કોરોના આવી જાય તો એ વ્યકિતને વિમા કવચ ફાયદો નહિ મળે તેથી વિમો લેતા પહેલા વિમા લેનાર વ્યકિતએ વિમાની શરતો વાંચવી જોઇએ.
મેડીકલ વિમાનો ફાયદો લેવા માટે હોસ્પિટલમાં ઓછામાં ઓછા ૨૪ કલાક રહેવું જરૂરી હોય છે. જો કોઇ વ્યકિત કોરોના પોઝિટિવ જણાય પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાને બદલે ઘરે ઇલાજ કરાવે તો તેને ફાયદો નહિ મળે. જો કે કેટલીક કંપનીઓ અમુક બિમારીઓમાં ૨૪ કલાકની શરત રાખતી નથી.
ઇલાજના બીલમાં સૌથી મોટો ખર્ચ બિન મેડીકલ બાબતનો હોય છે. એવી લગભગ ૨૦૦ ચીજો હોય છે જે સ્વાસ્થ્ય વિમા પોલિસીમાં સામેલ હોતી નથી. તેનો ખર્ચ દર્દીએ આપવો પડે છે. જેમાં ફૂટ કવર, ટીવી ચાર્જ, ઇન્ટરનેટ ચાર્જ વગેરે હોય છે.