સામાન્ય માણસની ચિંતામાં વધારો શાકભાજી બાદ કઠોળના ભાવ વધવા લાગ્યા
નવી દિલ્હી, તા.૧૬: છેલ્લા કેટલાયે સમયથી એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે. કોરોનાએ જયાં સમગ્ર દુનિયામાં કહેર વર્તાવ્યો છે ત્યાં મોંઘવારીએ માથુ ઉચકયુ છે. દેશમાં મોંઘવારીએ દેશમાં ફુગાવાનાના કારણે શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં ભડકો થયો છે. હવે કઠોળના ભાવમાં વધારો થતાં સામાન્ય માણસ માટે જીવવુ મુશ્કેલ બન્યુ છે. કઠોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાની તુલનામાં આ વર્ષે કઠોળના ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે.
દેશમાં તહેવારોની સીઝનની શરૂઆત સાથે જ કઠોળના ભાવમાં વધારા અંગે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયનું કહેવું છે કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. દરરોજ તમામ પ્રકારના કઠોળના ભાવ ઉપર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં કઠોળના ભાવ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
લોકડાઉન થયા પછી કઠોળના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. તેની શરૂઆત દાળથી થાય છે. બજારમાં દાળનો ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ચણાની દાળના ભાવ વધી રહ્યા છે ત્યારબાદ આની અસર મગની દાળ, અડદની દાળ પર પડશે. બજારમાં અડદ દાળ ૮૦ થી ૯૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. વેપારીઓ કહે છે કે કોરોના સમયગાળામાં નબળા ઉત્પાદનને લીધે કઠોળના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
જો આપણે દિલ્હી-એનસીઆરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી કઠોળના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શાકભાજીના ભાવો આસમાનને આંબતા લોકો કઠોળ તરફ વળે છે આમ કઠોળની જરૂરિયાત વધે છે. રોજબરોજની થાળીમાં શું પીરસવુ તે ગૃહિણીઓ માટે વિકટ સમસ્યા બની રહી છે. વેપારીઓ તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે સમય લોકડાઉનમાં ખોટ કરી તેની પુરતી કરવા મથી રહ્યા છે. આમ ગ્રાહકો સામે હાલ ચોતરફ લૂંટ ચાલી રહી છે.
તો બીજી બાજુ દુકાનદારોનું કહેવું છે કે મોંદ્યવારી તેમને પણ નડી છે. વેપારીઓ કહે છે કે ચણાની દાળના ભાવમાં વધારો ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે થયો છે. જૂનો સ્ટોક સમાપ્ત થવો ફુગાવા માટેનું એક કારણ હોઈ શકે છે. દુકાનદારોના મતે નવી ખરીદી મોંઘી થઈ રહી છે, તેથી મગ, અડદ અને ચણાની દાળના ભાવ વધી રહ્યા છે.