મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

ઇલેક્ટ્રોનિક નહિ પહેલા ડીઝીટલ મીડિયા પર નિયંત્રણ કરો : કેન્દ્ર સરકારનું સુપ્રીમને ચૂચન

ટીવી મીડિયાની તુલનાએ ડીઝીટલ મીડિયાની પહોંચ અને અસર વધુ : ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા માટે પૂરતા પ્રમાણમાં માળખું છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને સૂચન કર્યું હતું કે જો તે દેશમાં મીડિયા માટે ગાઇડલાઇન બનાવવા માંગતુ હોય તો તેણે ઇલેક્ટ્રોનિક મીડિયા પહેલા ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા માટે જોવુ જોઈએ. કેન્દ્રએ જણાવ્યું હતું કે ટીવી મીડિયાની તુલનાએ ડિજિટલ મીડિયાની પહોંચ અને અસર વધારે છે.કેન્દ્રે તેના  સોગંદનામામાં જણાવ્યું છે કે ડિજિટલ મીડિયાની પહોંચ વધારે છે અને વોટ્સએપ અને ફેસબૂક જેવા એપ્સ દ્વારા દરેક વસ્તુ ઘડીકમાં વાઇરલ થઈ જાય છે.

 આ સોગંદનામામાં જણાવાયું હતું કે ડિજિટલ મીડિયાની વધારે ગંભીર અસર છે અને તેનું કારણ તેનો ઝડપી વ્યાપ છે તેથી કોર્ટે ડિજિટલ મીડિયાના સંદર્ભમાં પહેલા વિચારવુ જોઈએ.સરકારે આ ઉપરાંત જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા અંગે પૂરતા પ્રમાણમાં માળખુ પણ છે અને ચુકાદાઓ પણ અપાયેલા છે. તેમા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જવાબદારીવાળા પત્રકારત્વની વાત કાયદાકીય જોગવાઈઓ અને ચુકાદાઓમાં દર્શાવાઈ છે, એમ જણાવતા તેણે ઉમેર્યુ હતુ કે ટીવી મીડિયાને અગાઉના કેસો અને ચુકાદાઓને આધારે નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે ડિજિટલ મીડિયામાં આવું કશું નથી.

કેન્દ્રએ આ સિવાય સુપ્રીમ કોર્ટને અમિકસ ક્યુરી એટલે કે કોર્ટના મિત્ર તરીકે અથવા સિટિઝન પેનલ રચવાની ભલામણ કરી હતી, જે આ માર્ગદર્શિકાઓ અંગે નિર્ણય લે.સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલું સોગંદનામુ ખાનગી ટીવી ચેનલ દ્વારા યુપીએસસી પરીક્ષામાં અને અન્ય સરકારી સર્વિસિસમાં મુસ્લિમો ઘૂસણખોરી કરી રહ્યા છે તે કાર્યક્રમના સંદર્ભમાં દાખલ કર્યુ તે છે.

આ ચેનલ પર બતાવવામાં આવેલા કાર્યક્રમમાં મુસ્લિમોને વિલન તરીકે ચીતરવામાં આવ્યા હતા. સરકારે મીડિયાની આઝાદી હેઠળ આ વિવાદાસ્પદ કાર્યક્રમ માટે મંજૂરી આપી હતી. પણ સુપ્રીમ કોર્ટે આ પ્રકારના કાર્યક્રમના પ્રસારણ સામે મનાઈહુકમ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તમે એક સમાજને લક્ષ્યાંક ન બનાવી શકો અને તેને ખાસ રીતે ચીતરી ન શકો. આમ કહીને તેણએ યુપીએસસી જિહાદના નામે પ્રસારિત થનારો કાર્યક્રમ રોક્યો હતો.

મંગળવારે આ કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે ટીઆરપીની લાગેલી રેસ અને ટીવી પર સેન્સેશન કે બ્રેકિંગ લાવવા માટે ચાલતી રેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે આ અંગે જણાવ્યું હતું કે દેશમાં ટીવી મીડિયા માટે માર્ગદર્શિકાઓ માટે પેનલની સ્થાપના કરવી જોઈએ.

(12:29 pm IST)