મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

શું ભાભીજીના પાપડ ખાઇને આટલા લોકો સ્વસ્થ થયા ?

મહારાષ્ટ્રમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ઠાકરેના બચાવમાં સંસદમાં સંજય રાઉતે આપ્યું નિવેદન

નવી દિલ્હી તા. ૧૭ : મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોવિડ-૧૯ના કેસમાં મહારાષ્ટ્રે ભારતના તમામ રાજયોને જ નહીં પરંતુ કેટલાંય દેશોને પાછળ પાડી દીધા છે. આ બધાની વચ્ચે ગુરૂવારના રોજ શિવસેનાના સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતાં કહ્યું કે રાજયમાં કોરોનાથી રિકવરી કરનારાઓની સંખ્યા વધી છે. રાઉતે ધારાવીનો હવાલો આપતા કહ્યું કે તેઓ આ તથ્ય એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે છેલ્લાં કેટલાંક દિવસોમાં સાંસદોએ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી હતી.

શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે તેમના માતા અને ભાઇ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાથી બહુ બધા લોકો રિકવર કરી રહ્યા છે. આ સિવાય આજે ધારાવીમાં સ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે. WHOએ પણ આ મામલામાં BMCના વખાણ કર્યા છે. હું આ તમામ તથ્યો અંગે એટલા માટે કહી રહ્યો છું કારણ કે ગઇકાલે કેટલાંક સભ્યોએ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી હતી.

રાઉતે આ દરમ્યાન કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલના 'ભાભીજીના પાપડ' પર કટાક્ષ કર્યો. રાઉતે કહ્યું કે હું સભ્યોને પૂછવા માંગીશ કે આટલા બધા લોકો આખરે કોરોનાથી રિકવર કંઇ રીતે થયા? શું લોકો ભાભીજીના પાપડ ખાઇને સાજા થઇ ગયા? તેમણે કહ્યું કે આ કોઇ રાજકીય લડાઇ નથી પરંતુ આ લોકોની જિંદગી બચાવાની લડાઇ છે. ઉલ્લેખનીય છે કે રાઉત કોરોના વાયરસના મુદ્દા પર સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર ચર્ચા દરમ્યાન બોલી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજયસભાની કાર્યવાહી દરમ્યાન કેટલાંય સાંસદોએ મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના પર ચિંતા વ્યકત કરી. તેમણે આ મુદ્દા પર ઉદ્ઘવ સરકારની જોરદાર આલોચના કરી. આ ક્રમમાં ભાજપના સાંસદ વિયન સહસ્ત્રબુદ્ઘે પણ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી રહ્યા હતા. ત્યાં જયા બચ્ચને તેમને જવાબ આપતા મહારાષ્ટ્ર સરકારનું સમર્થન કર્યું. તેમણે કહ્યું કે તેમના પરિવારમાં ચાર લોકો કોરોના સંક્રમિત થયા હતા. તેમને હોસ્પિટલમાંથી સારી સારવાર મળી અને તેમનું ખૂબ ધ્યાન રાખ્યું.

મહારાષ્ટ્રમાં કોરોના મહામારીનો કહેર થોભવાનું નામ લઇ રહ્યું નથી. મહારાષ્ટ્રમાં બુધવારના રોજ નવા કોરોના સંક્રમણના ૨૩૩૬૫ કેસ સામે આવ્યા છે. તો કોવિડ-૧૯ કેસ વધતા નાગપુર શહેરમાં આ મહિનાના બાકીના વધેલા બે સપ્તાહ દરમ્યાન શનિવાર અને રવિવારના રોજ જનતા કફર્યૂ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં મહામારીના લીધે એક દિવસમાં ૪૭૪ લોકોના મોત થયા. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૭૯૨૮૩૨ કોરોનાના દર્દી સ્વસ્થ થઇ ચૂકયા છે. સ્વાસ્થ્ય વિભાગના મતે હાલના સમયમાં મહારાષ્ટ્રમાં ૨૯૭૧૨૫ દર્દીઓની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(1:23 pm IST)