કોરોના વાયરસથી ભુખમરાના આરે સેકસ વર્કર્સ : અનેકે આજીવિકા બદલાવી નાખી : જીવન બદલ્યુ
હવે નહિ જાય નર્કના વ્યવસાયમાં : કોઇએ શાકભાજી તો કોઇ એ કપડા કે ચા વેચી ગુજરાન ચલાવવાનું શરૂ કર્યુ
મુંબઈ, તા. ૧૭ : ઘણા લોકોએ કોરોના વાયરસ લોકડાઉનમાં તેમની નોકરી ગુમાવી દીધી હતી. ઘણા લોકોને પેટ ભરવા માટે ભારે જહેમત પણ કરવી પડી હતી. ખાસ કરીને પરપ્રાંતિય મજૂરો, સેકસ વર્કર્સ, ટ્રાન્સજેન્ડર વર્ગના લોકો છે કે જેઓ કોરોનાના કારણે અન્યો કરતા વધારે પ્રભાવિત થયા. તેમાં પણ સેકસ વર્કર્સ કે જેઓ આજીવિકા માટે બીજાના સંપર્કમાં આવે છે તેમની આજીવિકાના તમામ સાધન સદંતર બંધ થઈ ગયા છે. તેવામાં કેટલાકએ આજીવિકાનું માધ્યમ જ બદલી નાખ્યું છે. જેમાંથી કેટલાકે વાતચીત કરતા પોતાની વાત શેર કરી હતી.
ત્રણ મહિના સુધી એક એનજીઓ પર નિર્ભર રહેવા પછી, મીનાએ બાળકોના કપડા વેચવાનું શરૂ કર્યું. તે જુલાઇથી નાલાસોપારામાં આ કામ કરી રહી છે. તે કમાઠીપુરામાં સેકસ વર્કર તરીકે કામ કરતી હતી પરંતુ હવે નક્કી કર્યું છે કે કયારેય આ કામમાં પાછી નહીં જાય. તેની સાથે વધુ આઠ સેકસ વર્કર્સ છે જેઓ દેહ વ્યાપારના કામથી દૂર થઈને બીજા કામમાં પોતાનું ભવિષ્ય બનાવી રહી છે.
મીનાએ જણાવ્યું હતું કે કપડાં વેચીને કમાવું દેહ વેચીને કમાવવા કરતા વધારે સારું છે. તેણે કહ્યું, હવે હું જે કામ કરી રહી છું તેમાં આદર છે. હું હવે આર્થિક વ્યવહાર અને નવી ક્ષમતાઓ સાથે નવા વ્યવસાય સમજી રહી છું. તેણે કહ્યું કે હાલ જોકે તેનો નફાનો ગાળો ખૂબ ઓછો છે. પરંતુ તેમ છતા છેલ્લા થોડા દિવસથી તેની આવકા અંદાજીત ૯૫૦ રૂપિયા દરરોજ થઈ રહી છે. ઓગસ્ટ પછી તેના વેપારમાં તેજી જોવા મળતા તેણે પોતાની પાસેનો સ્ટોક પણ ત્રણ ગણો વધાર્યો છે. મીનાએ કહ્યું કે તે ૩૦ વર્ષથી મુંબઈમાં રહે છે અને તેના બે બાળકો છે.
શહેરના રેડ લાઇન વિસ્તારોમાં કામ કરતી એક એનજીઓ પ્રેરણાએ જણાવ્યું હતું કે મીનાની જેમ દ્યણા સેકસ વર્કર્સ પણ તે ગુમનામ શેરીઓ છોડીને નવા વ્યવસાયમાં આવ્યા છે. એનજીઓએ તેમને કામ શરૂ કરવામાં ૧૦,૦૦૦ રૂપિયાની મદદ કરી. આર્થિક સહાયતા પહેલા બધાને વેપાર કરવાની બેઝિક કુશળતા શીખવવામાં આવી હતી.
મીનાની જેમ અન્ય એક મહિલા રાધા જે દેહ વેપારથી જોડાયેલી હતી હવે ચા વેચે છે. તેણે જણાવ્યું હતું કે લોકડાઉનમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું, પરંતુ બીએમસીએ તેનો માલ જપ્ત કરી લીધો હતો. પછી તેણે એનજીઓની મદદથી ૧૦૦ કપ અને ચાની કિટલી ખરીદીને ફરી એકવાર મહેનત કરવાનું શરું કર્યું અને ચા વેચવાનું શરૂ કર્યું. તે એક કલાકમાં ચામાંથી લગભગ ૧૦૦ રૂપિયા કમાય છે. તેણે કહ્યું કે આ કામમાં પૈસા ઓછા હોવા છતાં તેને કોઈના મોઢેથી અપશબ્દો સાંભળવવાનો વારો નથી આવતો. તેણે કહ્યું કે તે બિહારની છે અને ૧૩ વર્ષની ઉંમરે મુંબઇ આવી હતી. આજે પોતે અહીં ૧૭ વર્ષથી રહે છે.
આવી જ રીતે ભારતીએ પણ આર્થિક મદદ લઈને ૫૦ કિલો ડુંગળી અને ૫૦ કિલો બટાકાની ખરીદ્યા અને તેને વેચવાનું શરૂ કર્યું. તે શાકભાજી વેચીને રોજ ૧૦૦ થી ૧૫૦ રૂપિયા કમાય છે. પૂજા સૂકી માછલી વેચે છે અને દરરોજ ૬૭૦ રૂપિયા કમાય છે.