મુખ્ય સમાચાર
News of Saturday, 17th October 2020

'કન્ટ્રી ઓફ ઓરિજિન' ટેગ મામલે સરકારે એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ: નિયમો તોડવાનો આરોપ

5 દિવસની અંદર નોટિસનો જવાબ નહીં આપે તો કાર્યવાહી માટે તૈયાર રહેવા ચીમકી

નવી દિલ્હી : 'કન્ટ્રી ઓફ ઓરિજિન' ટેગ મામલે સરકારે એમેઝોન અને ફ્લિપકાર્ટને નોટિસ આપી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તેમના પ્લેટફોર્મ પર વેચવામાં આવતી કેટલીક પ્રોડક્ટ્સને 'કન્ટ્રી ઓફ ઓરિજિન' સાથે ટેગ કરવામાં આવી નથી. બંનેને કહેવામાં આવ્યું છે કે, જો તેઓ 15 દિવસની અંદર નોટિસનો જવાબ નહીં આપે તો કાર્યવાહી માટે તૈયાર રહેજો.

શુક્રવારે ગ્રાહક બાબતોના મંત્રાલયે જારી કરેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા 'કન્ટ્રી ઓફ ઓરિજિન' ના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. તે ઉત્પાદન માટે આ ટેગ મૂકવો જરૂરી છે કે તે કયા દેશમાંથી આવે છે. પરંતુ કેટલાક ઉત્પાદનોને ટેગ અપાયા નથી. આ નોટિસ એમેઝોન અને ફ્લિપકાર્ટને એવા સમયે આપવામાં આવી છે જ્યારે બંને પોતાનો એન્યુઅલ સેલ શરૂ કરી રહ્યા છે. જો કે, આ બંને કંપનીઓએ આ નોટિસનો જવાબ આપ્યો નથી.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા સરકારને 'કન્ટ્રી ઓફ ઓરિજિન' કેસની તપાસ કરવા જણાવ્યું હતું. કન્ફેડરેશનના સેક્રેટરી જનરલ પ્રવિણ ખંડેલવાલે આરોપ લગાવ્યો હતો કે સરકારની ચેતવણી છતાં પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓ કન્ટ્રી ઓફ ઓરિજિન ટેગના નિયમોનું પાલન કરતી નથી તેથી, સરકારે તે કંપનીઓને પૂછવું જોઈએ કે તેઓ આ નિયમનું પાલન કેમ નથી કરી રહ્યા.

(12:11 pm IST)