રિપબ્લિક ટીવી એ બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : ટીઆરપી સ્કેમ મામલે મુંબઈ પોલીસે દાખલ કરેલી એફઆઈઆર રદ કરવા અરજ કરી : પોલીસ કમિશ્નરે હોદાનો દુરુપયોગ કરી સમન્સ પાઠવ્યું હોવાથી સીબીઆઈ દ્વારા તપાસ કરવા માંગણી કરી
મુંબઈ : ટીઆરપી સ્કેમ મામલે રિપબ્લિક ટીવીએ મુંબઈ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જે અંતર્ગત મુંબઈ પોલીસે દાખલ કરેલી એફઆઈઆર રદ કરવા,તથા પોલીસ કમિશ્નરે હોદાનો દુરુપયોગ કરી સમન્સ પાઠવ્યું હોવાથી સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગણી કરી છે. તથા પોલીસ કમિશનર વિરુદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવા અને જ્યાં સુધી નામદાર કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી રિપબ્લિક ટીવી તથા તેમના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી સહિતના સ્ટાફ વિરુદ્ધની તપાસ અટકાવી દેવાની માંગણી કરી છે.
વિશેષમાં પિટિશનમાં જણાવાયા મુજબ તેઓએ સુશાંત રાજપૂત મૃત્યુ કેસમાં તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઈ પોલીસ નિષ્ફ્ળ નીવડી છે તેવું જણાવ્યું હોવાથી પૂર્વગ્રહ રાખ્યો છે.તેમજ એફઆઇઆરમાં રિપબ્લિક ટીવીનું નામ ન હોવા છતાં સમન્સ પાઠવ્યું હોવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ટીવીએ આ બાબતે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી જે રદ કરી નામદાર કોર્ટએ મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરવાનું જણાવ્યું હતું.