રાજકોટમાં છેલ્લા બે દિ'માં કોરોનાએ ૧૩નો જીવ લીધો
ગઇકાલે ૭ અને આજે ૬ના મોત થયાઃ તંત્રનાં ચોપડે ગઇકાલે ૭ મોત પૈકી ૨ કેસની નોંધ : શહેર - જીલ્લાની કોવીડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ૧૮૧૮ બેડ ખાલી
રાજકોટ, તા. ૧૯: વૈશ્વિક મહામારી કોરોનાએ રાજકોટ શહેર- જીલ્લામાં કાળો કેર વર્તાવ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં ૬ દર્દીઓનો ભોગ લેવાયા હતા. આ સાથે છેલ્લા ૨ દિવસમાં મૃત્યુઆંક ૧૩ થઇ ગયો છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં ગઇકાલે કોરોનાથી શહેર અને જીલ્લામાં ૭ પૈકી ૨ એક મૃત્યુની નોંધ થઇ નથી.
આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૮નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૧૯ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૬ દર્દીઓનાં અને ગઇકાલે ૭ દર્દીઓનાં મૃત્યુ થયા હતા. આ સાથે છેલ્લા બે દિવસમાં કોરોનાએ ૧૩ લોકોની જિંદગી છીનવી લીધી હતી.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૧૮ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.