સાત મહિનાના લાંબાગાળા પછી મુંબઈ મેટ્રો ફરી પાટે ચઢી : પહેલા દિવસે ઓછા મુસાફરો જણાયા
મેટ્રો ઘાટકોપર-વર્સોવા મેટ્રો વન લાઇન પર શરૂ થઇ
કોરોના મહામારીના કારણે મુંબઈ મેટ્રો માર્ચ મહિનાથી બંધ હતી, હવે 7 મહિના બાદ તે સોમવારે સવારે 8.30 વાગ્યાથી ફરીથી શરૂ થઇ હતી. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને મેટ્રો વહીવટી તંત્ર દ્વારા કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. 1350ના સ્થાને માચ્ર 350 લોકોને જ મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. હાલમાં આ મેટ્રો ઘાટકોપર-વર્સોવા મેટ્રો વન લાઇન પર શરૂ થઇ છે.
જો કે પહેલા દિવસો મુસાફરોની સંખ્યા આશા કરતાં ઘણી ઓછી રહી હતી. મોટાભાગના લોકો નિશ્ચિત અંતર રાખીને બેઠા હતા અને લગભગ તમામના ચહેરા પર માસ્ક જોવા મળ્યો હતો.માસ્ક વગર મેટ્રોમાં જવાની મંજૂરી આપવામાં નહીં આવે. મેટ્રો સ્ટેશનના ગેટ પર જ મુસાફરોની થર્મલ સ્ક્રીનીંગ કરાશે આ ઉપરાંત મેટ્રો માટે 'યુઝ એન્ડ થ્રો' પેપર ટીકીટ આપવામાં આવશે જેના પર બનેલા ક્યુઆર કોડની મદદથી લોકો સ્ટેશનથી બહાર નીકળી શકશે.
નવી વ્યવસ્થા મુજબ સવારે 8.30 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા સુધી મેટ્રો સેવા મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા દર સાડા છ મિનિટે ઘાટકોપરથી વર્સોવા વચ્ચે ટ્રેન ચાલશે. નૉન પીક અવરમાં આશરે 8 મિનિટના અંતરે મેટ્રો ચાલશે. પહેલાંની સરખામણીમાં મેટ્રો ટ્રેનોની ફ્રીક્વેન્સી ઓછી હશે.
કોરોના સંક્રમણને અટકાવવા મેટ્રો ટ્રેનમાં સામાજિક અંતરનું પાલન કરવા હવે એક વખતમાં માત્ર 300 મુસાફરોને જ ટ્રેનમાં મુસાફરીની મંજૂરી મળશે. તેમાં 100 મુસાફરોને બેસીને અને આશરે 160 મુસાફરોને ઊભા થઈને મુસાફરી કરવાની મંજૂરી હશે.