ખેડૂતોએ દોઢ વર્ષ કૃષિ કાયદાના અમલ પર રોકનો પ્રસ્તાવ ફગાવ્યો : નરેન્દ્રસિંહ તોમાર રાત્રે ગૃહમંત્રી અમિતભાઈના નિવાસસ્થાને પહોંચ્યા
ટ્રેક્ટર રેલી પર રોકથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર : ખેડૂતો અને પોલીસ વચ્ચે વાતચીત:પંજાબથી 1140 ટ્રેક્ટર દિલ્હી રવાના
નવી દિલ્હી : કૃષિ કાયદાને લઇ ખેડૂતો આંદોલન આગળ પણ ચાલુ રાખશે. સંયુક્ત ખેડૂત મોર્ચાની સામાન્ય સભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપેલા પ્રસ્તાવને ફગાવી દીધો છે. સામાન્ય સભામાં ત્રણેય કૃષિ કાયદાને સંપૂર્ણ રીતે રદ અને એમએસપી પર કાયદા લાવવાની વાત ખેડૂત સંગઠનોએ કરી છે. ખેડૂતોનો આ નિર્ણય કેન્દ્ર સરકાર માટે મોટો ફટકો સમાન છે. ખેડૂત સંગઠનો તરફથી સરકારનો પ્રસ્તાવ ફગાવ્યા પછી કાલે શુક્રવારે થનારી બેઠક પહેલા કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવાસસ્થાને પહોંચ્યા છે
નવા કૃષિ કાયદા પર ગતિરોધ દૂર કરવા માટે 10માં તબક્કાની બેઠકમાં કેન્દ્ર સરકાર થોડી ઝુંકી હતી અને કાયદાને દોઢ વર્ષ માટે રદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. સરકારે ખેડૂત સંગઠન અને સરકારના પ્રતિનિધિઓની એક સંયુક્ત સમિતીની રચના કરવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે પરંતુ ખેડૂત નેતાઓએ તેને ફગાવી દીધો હતો અને કહ્યુ કે તે એક બીજા સાથે ચર્ચા બાદ કેન્દ્ર સામે પોતાના વિચાર મુકશે
ખેડૂત આંદોલનનો 57મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગને લઇને પંજાબ સહિત કેટલાક રાજ્યના ખેડૂત દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો સાથે પોલીસની બેઠકમાં કોઇ પરિણામ આવ્યુ નહતું. સતત ત્રીજા દિવસે પોલીસે ખેડૂતોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો. બેઠકમાં દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી સામેલ થયા હતા. બેઠકમાં ખેડૂતોએ સ્પષ્ટ કર્યુ કે તે કોઇ પણ ભોગે દિલ્હીના આઉટર રિંગ રોડમાં ટ્રેક્ટર માર્ચ કાઢશે.
ટ્રેક્ટર રેલી પર રોલ લગાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ બુધવારે તેને પરત લેવી પડી. કોર્ટે દખલ આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યુ કે ખેડૂતોનું પ્રદર્શન રોકવાનો કોઇ આદેશ જાહેર નથી કરી શકતા. આ મામલે પોલીસને જ નિર્ણય લેવા દો, કારણ કે કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે
ટ્રેક્ટર રેલી માટે પંજાબના 4 જિલ્લાના 1140 ટ્રેક્ટરમાં સવાર થઇને ખેડૂત બુધવારે દિલ્હી માટે રવાના થયા છે. અમૃતસરથી 850 ટ્રેક્ટરનો જથ્થો રવાના થયો છે. સંગરૂરથી 250 અને મોગાથી 40 ટ્રેક્ટર રવાના થયા હતા.