વર્ષનો પ્રારંભ શુભ સંકલ્પો સાથે, શુભતા સિદ્ધિમાં બદલાશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કોવિડ રસીકરણ અભિયાનનો સાતમો દિવસ : કોરોનાની રસી લેનારા વારાણસીના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો, ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા અભિયાન પર ફીડબેક પણ લીધા
નવી દિલ્હી, તા. ૨૨ : કોવિડ રસીકરણ અભિયાનનો આજે સાતમો દિવસ છે. વારાણસીના લાભાર્થીઓ અને રસીકરણ કરનાર કર્મચારીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ સંવાદ કર્યો. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા પીએમ મોદીએ ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા અભિયાન પર ફીડબેક પણ લઇ રહ્યા છે. તેઓ સતત રસીકરણ અભિયાનનું મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે વૈજ્ઞાનિકો સિવાય રાજનેતાઓ, અધિકારીઓ અને અન્ય હિતધારકોની સાથે આ અંગે કેટલીયવાર ચર્ચા કરી છે. જમીની સ્તર પર રસીકરણ લાભાર્થીઓ અને રસી મૂકાવનારાઓનો અનુભવ કેવો રહ્યો છે તે પણ જાણ્યું.
વારાણસીની જિલ્લા મહિલા હોસ્પિટલના મેટ્રન પુષ્પા દેવીને અહીં સૌથી પહેલાં રસી અપાઇ હતી. તેમણે પીએમનો આભાર વ્યકત કરતાં કહ્યું કે પહેલાં તબક્કામાં સૌથી પહેલાં મને રસી અપાઇ. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માની રહી છું. હું સુરક્ષિત મહેસૂસ કરી રહી છું. પુષ્પા એ કહ્યું કે મને કોઇ સાઇડ ઇફેક્ટ થઇ નથી. જેમ કે અન્ય ઇંજેકશન લાગે છે તેવી જ રીતે આ ઇંજેક્શન પણ લાગ્યું. પીએમ મોદીએ કહ્યું કે આ તમારા જેવા લાખો-કરોડો કોરોના વોરિયર્સ અને ૧૩૦ કરોડ ભારતીયોની સફળતા છે. ત્યારબાદ તેમણે સાઇડ ઇફેક્ટસને લઇ પૂછયું કે શું તેઓ પૂરા વિશ્વાસથી આવું કહી શકે છે? ત્યારે પુષ્પા એ કહ્યું કે કોઇના મનમાં એ ડરના રહેવો જોઇએ કે રસીથી કંઇ થઇ જશે.
પીએમ એ શરૂઆતના પોતાના સંબોધનમાં કહ્યું કે ૨૦૨૧ની શરૂઆત ખૂબ જ શુભ સંકલ્પો સાથે થઇ છે. કાશી અંગે કહે છે કે અહીં શુભતા સિદ્ધિમાં બદલાઇ જાય છે. આ સિદ્ધિનું પરિણામ છે કે આજે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન આપણા દેશમાં ચાલી રહ્યું છે. બે મેડ ઇન ઇન્ડિયા વેક્સીન ભારતમાં તૈયાર થઇ છે. આ કેસમાં ભારત માત્ર સંપૂર્ણપણે આત્મનિર્ભર જ નથી પરંતુ કેટલાંય દેશોની પણ મદદ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે કોઇપણ રસી બનાવાની પાછળ આપણા વૈજ્ઞાનિકોની ખૂબ મહેનત હોય છે, તેમાં વૈજ્ઞાનિક પ્રક્રિયા હોય છે. વેક્સીન અંગે નિર્ણય કરવો રાજકીય નહોતો, આપણે નક્કી કર્યું હતું કે જેવું વૈજ્ઞાનિક કહેશે એમ જ આપણે કામ કરીશું.