મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

કામાખ્યા શક્તિપીઠના ગુંબજ સોનાથી મઢી દેવામાં આવ્યા

મુખ્ય ગુંબજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ૫૧ શક્તિપીઠોથી એક ગુવાહાટીના કામાખ્યા દેવી મંદિરમાં ૧૯ કિલો સોનાનું દાન કર્યું હતું

ગુવાહાટી, તા. ૨૨ : એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ ૫૧ શક્તિપીઠોમાંથી એક ગુવાહાટીના કામાખ્યા દેવી મંદિરમાં હાલમાં જ ૧૯ કિલો સોનાનું દાન કર્યું હતું. દાન મળ્યા બાદ મંદિરના ગુંબજને ૧૯ કિલો સોનાથી મઢવાનું કામ શરૂ થઈ ગયું છે. કામાખ્યા મંદિર હિન્દુઓનું ખૂબ જ પવિત્ર સ્થળ છે. કોરોના લોકડાઉનમાં મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. ૧૨ ઓક્ટોરે તેને ફરીથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું.

કામાખ્યા મંદિરમાં સોનાના ગુંબજને પહેલીવાર ગુરુવારે બતાવવામાં આવ્યા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ઈચ્છા પર આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. કામાખ્યા મંદિરના ટ્રસ્ટ બોર્ડ દ્વારા કહેવાયું કે, સોનાથી મઢવામાં આવેલો મુખ્ય ગુંબજ લોકો માટે એક નાના એવા સમારોહથી ખુલ્લો મુકાયો હતો, કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા રિલાયન્સના કેટલાક અધિકારીઓ પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર બોર્ડના પ્રસિડેન્ટ મોહિત ચંદ્ર શર્માએ કહ્યું, મંદિરના મુખ્ય ગુંબજને ખુલ્લો મૂકાતા પહેલા અધિકારીઓએ માતાજીની પૂજા, યજ્ઞ અને બાદમાં કુમારી પૂજા કરી હતી. ગુંબજનું કામ પૂરું કરવા માટે ૧૨ જેટલા કલાકારો મુંબઈથી આવ્યા હતા અને તે સતત કાર્ય કરી રહ્યા છે. મંદિરના ૩ ગુંબજને સોનાથી મઢતા પહેલા તાંબાની સ્ટ્રક્ચર ફ્રેમ બનાવવા માટે ૧૦ જેટલા કારીગરો મુંબઈથી આવ્યા હતા. તેઓ દુર્ગા પૂજાના થોડા સમય પહેલા જ મુંબઈ પરત ફર્યા હતા. મંદિરના ગુંજબનું સમારકામ સપ્ટેમ્બરના મધ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું કે, કેબિનેટ મંત્રી હિમંતા બિસ્વા શર્મા કામાખ્યા માતાના અપાર ભક્ત છે. તેમણે જ મંદિરનું ગુંજબ સોનાનું કરવા માટે મુકેશ અંબાણીનું ધ્યાન દોર્યું હતું, જે બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તરફથી પ્રસ્તાવ આવ્યો હતો.

(7:44 pm IST)