મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

૨૧ દિવસ વેન્ટિલેટર પર રહ્યા બાદ જોનસને કોરોનાને હરાવ્યો

ડેવિડ જોનસન ૪૬ દિવસ હોસ્પિટલમાં રહ્યા : અંતિમસંસ્કારની તૈયારી ચાલતી હતી અને કોરોનાને હરાવ્યો

વોશિંગ્ટન, તા. ૨૨ : દુનિયાભરમાં કોરોનાના કેસના કારણે ચિંતા વધી રહી છે. એક તરફ ઝડપથી રસી મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોરોના વાયરસને હળવાશમાં લેનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ઘણાં કિસ્સામાં સંપૂર્ણ સાવચેતી રાખવા છતાં કોરોનાની ચપેટમાં વ્યક્તિ આવી જતી હોય છે. આવો જ એક અમેરિકાનો કિસ્સો છે જેમાં  રિપોર્ટ્સ પ્રમાણે કોરોનાના સંક્રમણના શરુઆતના સમય દરમિયાન એક શખ્સ પરિવાર સાથે નેશવિલ શહેરમાં ફરવા ગયો હતો અને ત્યાં તે વાયરસની ચપેટમાં આવી ગયો. ભારે ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ આ શખ્સે આખરે કોરોનાને હરાવી દીધો છે. આવો જાણીએ તેમની સાથે કોરોનાએ કેવો કાળો કેર વર્તાવ્યો હતો.

ડેવિડ જોનસન કુલ ૪૬ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા અને તેમને ૨૧ દિવસ સુધી લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં જોનસને જણાવ્યું કે એક સમયે ડૉક્ટરોએ પણ જવાબ આપી દીધો હતો અને તેમના ભાઈએ તેમના માટે અંતિમ સંસ્કારની પણ તૈયારી કરવાનું શરુ કરી દીધું હતું. પરંતુ અચાનક તેમની તબીયતમાં સુધારો આવ્યો અને આખરે તેમણે કોરોનાને હરાવ્યો. તેઓ માને છે કે તેમના પરિવારના સભ્યોની દુઆઓના કારણે તેમનો જીવ બચી ગયો. 

જોનસને જણાવ્યું કે નેશવિલમાં એક સ્પોર્ટ્સ ઈવેન્ટને કવર કરવા માટે તેઓ ગયા હતા. પરિવારના લોકોએ જોનસનની પત્નીનો જન્મદિવસ મનાવવા માટેનો પણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ બહારનું જમ્યા પછી તેમને પેટમાં દુખવા લાગ્યું અને ઉલ્ટી થવા લાગી. તેમને પહેલા લાગ્યું કે કોરોનાના કારણે આવું નથી થઈ રહ્યું, પેટમાં દુખાવો અને ઉલ્ટી લક્ષણો નથી તેમ માનીને તેમણે કોરોનાનો ટેસ્ટ નહોતો કરાવ્યો. તેમને લાગ્યું કે કદાચ ફૂડ પોઈઝનિંગના કારણે આ બધું થઈ રહ્યું છે. જોનસને એમ પણ જણાવ્યું કે તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના બે બાળકોની પણ તબીયત ખરાબ થઈ ગઈ હતી.

          સાથે જ તેમની ભૂખ ઓછી થઈ ગઈ હતી, પરંતુ જોનસનની તબીયત વધારે ખરાબ હતી. જોકે તેમને કોરોનાના લક્ષણો ના દેખાતા હોવાથી ટેસ્ટ નહોતો કરાવ્યો, આ દરમિયાન ડૉક્ટરોએ તેમને ઘરે જ રહેવાની સલાહ આપી. પછી શ્વાસ લેવામાં તકલીફ અને ખાંસી વધવાના કારણે, તેમને હોસ્પિટલ લઈ જવાયા. તેમના પરિવારે ચિંતા વ્યક્ત કરી હતી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોનસન ઈમરજન્સીના ગેટ પાસે ઢળી પડ્યા હતા. તેમને વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પર રખાયા હતા. જોનસનના પત્ની જણાવે છે કે મેડિકલ સ્ટાફે શરુઆતના ૮ દિવસ બાદ કહ્યું કે જોનસને જીવતા રહેવાના ચાન્સ ૫% જ છે. મહામારીના એ સમયમાં અમેરિકામાં વેન્ટિલેટરની ભારે અછત હતી. તેમણે કહ્યું કે તેઓ એક ફાઈટર છે. તેમણે ડૉક્ટરોને વિનંતી કરી કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવે, જેથી તેઓ જલદી સાજા થઈ જાય. જોનસને જણાવ્યું કે ડૉક્ટરોએ તેમને રાખી લીધા પરંતુ પરિવારને જણાવ્યું હતું કે તેઓ લાંબો સમય જીવતા નહીં રહી શકે.

(7:55 pm IST)