કેન્દ્રીય મંત્રીઓના આધારે ચૂંટણી જીતવાની તૈયારીમાં બીજેપી
પ.બંગાળ ચુંટણી જંગ : ચુંટણી પ્રચાર માટે ૬ કેન્દ્રીય મંત્રી પુરજોશમાં
નવી દિલ્હી તા. ૨૪ : પ.બંગાળમાં વિધાનસભા ચુંટણી આવતા વર્ષે પરંતુ પ્રદેશ બીજેપી એકમ હાલમાં તેની તૈયારીઓમાં લાગી છે. બંગાળના એકમે રાષ્ટ્રીય નેતૃત્વથી રાજ્યમાં આગામી વિધાનસભા ચુંટણીમાં પ્રચાર માટે ૬ કેન્દ્રીય મંત્રીઓની માંગ કરી છે.
ગઇકાલે પ્રદેશ કોર કમિટિની બેઠક યોજાઇ. બેઠકમાં પક્ષના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય સહિત રાજ્યના અનેક નેતા હાજર હતા. બેઠકમાં કહેવામાં આવ્યું કે, રાજ્યમાં પક્ષની ચુંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, રેલમંત્રી પીયુષ ગોયલ, પ્રહલાદ પટેલ, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કિરણ રિજ્જુને બોલાવાની માંગ કરવામાં આવશે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આ મંત્રી રાજ્યમાં એકથી દોઢ મહિના ચુંટણી પ્રચાર કરશે.
ત્યારબાદ પક્ષ એક બેઠક કરશે. તેમાં આગળની રણનીતિ પર નિર્ણય કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ધારપ્રવાહ બંગાળી બોલે છે. ધર્મેન્દ્ર પ્રધાન ઓડિશાના નજીકના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાની શકયતા છે તેમજ રિજ્જુ ઉત્તર પૂર્વી રાજ્યોમાં પાસના વિસ્તારોમાં પ્રચાર કરશે.
કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરને કૃષિ બિલ વિરૂધ્ધ વિપક્ષના અભિયાનનો મુકાબલો કરવાની આશા છે. એક સૂત્રના જણાવ્યા મુજબ જો કે પ.બંગાળમાં રેલવેનું વ્યાપક નેટવર્ક છે તેથી રેલમંત્રી પીયુષ ગોયલ પણ પ્રભાવશાળી સાબિત થઇ શકે છે.