મહામારીના ડરને કારણે
૯૦ % ભારતીયોએ ખર્ચા ઘટાડ્યાઃ ક્રેડિટ -ડેબિટ કાર્ડના વપરાશમાં કાપ
મુંબઇ,તા. ૨૫: કોરોના વાઇરસના સતત વધી રહેલા વિક્રમી કેસને કારણે અર્થતંત્ર પાછું બેઠું થવા અંગે અનિશ્ચિત બની છે.
તેને લીધે દેશના ૧૦ માંથી ૯ લોકો આગામી સમયમાં ખર્ચ કરવા અંગે સાવચેતીનું વલણ ધરાવે છે. સ્ટાન્ડર્ડ ચાટર્ડ બેન્કના સર્વેમાં જણાવ્યા અનુસાર ' ૯૦ ટકા ભારતીયોના મતે મહામારીને કારણે તે ખર્ચ કરવામાં વધુ સાવચેત બન્યા છે. વૈશ્વિક સ્તરે માત્ર ૭૫ ટકાએ ખર્ચ કરવામાં સાવધાનીનો મત વ્યકત કર્યો છે. સર્વેમાં ભાગ લેનારા ૭૬ ટકા ભારતીયોએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની આર્થિક અસરને લીધે તે ખર્ચ પર નજર રાખતા થયા છે. વૈશ્વિક સ્તરે ૬૨ ટકા લોકોએ આવો મત દર્શાવ્યો છે. ભારતમાં લગભગ ૮૦ ટકા લોકોએ બચતના વિકલ્પ અપનાવવાની શરૂઆત કરી છે. જેમાં કેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા થતા ખર્ચની મર્યાદા નિર્ધારિત કરી છે.
ભારત સહિત વિશ્વભરમાં ગ્રાહકો કોરોના અગાઉના સમયની તુલનામાં જીવનજરૂરી ચીજો, આરોગ્ય અને ડિજિટલ ડિવાઇસ પર વધુ ખર્ચ કરી રહ્યા છે. તેમની ધારણા મુજબ આગામી સમયમાં આ ખર્ચ વધશે.