અહેમદ પટેલને તેમની ઈચ્છા અનુસાર વતનમાં દફનાવાશેઃ પીરામણ ગામમાં તૈયારી શરૂ
અહેમદ પટેલની અંતિમ ઈચ્છા હતી કે, તેમની દફનવિધી તેમના માતા-પિતાની કબરની બાજુમાં થાયઃ પીરામણ ગામે દફનવિધિની તૈયારીઓ શરૂ
ભરૂચ, તા.૨૫: કોંગ્રેસના સીનિયર નેતા અને ગુજરાતમાંથી રાજયસભાના સાંસદ અહેમદ પટેલનું બુધવારે વહેલી સવારે અવસાન થયું છે. આ માહિતી ૭૧ વર્ષીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે આપી હતી. અહેમદ પટેલના અવસાનથી તેમના વતન ભરૂચ સ્થિત પીરામણ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે અહેમદ પટેલની ઈચ્છા હતી કે, તેમની દફનવિધિ પીરામણ ગામમાં માતા-પિતાની કબરની બાજુમાં કરવામાં આવે. જેથી પીરામણ ગામમાં દફનવિધિઓ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિકો પણ લાગણી છે કે તેમની દફનવિધિ પીરામણમાં જ થાય. પરંતુ તેમની દફનવિધિ કયા થશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
મીડિયા રિપોર્ટ મુજબ અહેમદ પટેલના અવસાનના સમાચાર સાંભળીને નવસારી ખાતે રહેતા તેમના બહેન મેમુનાબેન ઈકબાકલ ઉનીયાના દ્યરે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ પીરામણ ખાતે જવા માટે પણ રવાના થયા હોવાની માહિતી મળી છે. ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, અહેમદ પટેલના પાર્થિવ દેહને દફનવિધિ માટે પીરામણ લવાશે.