પૂર્વ કેન્દ્રીય મંત્રીને સીબીઆઈ કોર્ટે ૩ વર્ષ જેલની સજા ફટકારી
કોલસા કૌભાંડમાં સજા ફટકારવામાં આવી : સીબીઆઈ કોર્ટે ૧૯૯૯માં ઝારખંડમાં કોલસા બ્લોકની ફાળવણીમાં કથિત અનિયમિતતાને લઈને ચૂકાદો આપ્યો
નવી દિલ્હી,તા.૨૬ : પૂર્વ કેન્દ્રિય મંત્રી દિલીપ રેને કોલસા કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની એક સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે ૧૯૯૯માં ઝારખંડમાં કોલસા બ્લોકની ફાળવણીમાં કથિત અનિયમિતતાને લઈને આ ચૂકાદો આપ્યો છે. કોર્ટે આ મામલામાં હાલમાં જ દોષી મળી આવેલા અન્ય બે આરોપીઓને પણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. મામલામાં સીબીઆઈ તરફથી પૂર્વ કેન્દ્રિય મંત્રી માટે ઉંમરકેદની સજાની માગણી કરાઈ હતી. સજા પર સુનાવણી ૧૪મી ઓક્ટોબરે ખતમ થશે. દિલીપ રે ૧૯૯૯માં અટલ બિહારી સરકારમાં રાજ્યમંત્રી હતા. રાઉજ એવન્યૂ કોર્ટમાં સ્પેશ્યલ જજ ભરત પરાશરે દિલીપ રેને ૬ ઓક્ટોબરે દોષી જાહેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ લોકોએ કોલસા બ્લોકની ફાળવણી અને ખરીદીને લઈને એક ષડયંત્ર રચ્યું હતું. આ મામલે ૧૯૯૯માં કોલસા મંત્રાલયની ૧૪મી સ્ક્રીનિંગ કમિટી દ્વારા કેસ્ટ્રન ટેકનોલોજી લિમિટેડના પક્ષમાં ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં ૧૦૫.૧૫૩ હેક્ટર કોલસા ખાણની ફાળવણીથી સંબંધિત છે. કોલસાની ખાણની ફાળવણીમાં ગુનો સાબિત થવાનો આ પહેલા મોમલો છે,
જેમાં વધુમાં વધુ સજા આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે. દિલીપ રેને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૯ સહિત જુદી જુદી કલમો હેઠળ દોષી સાબિત કરાયા હતા. દોષીઓએ કોર્ટમાં તેમની વૃદ્ધવસ્થા અને પહેલા અન્ય કોઈ કેસમાં દોષી સાબિત ન થયા હોવાનું જણાવીને કોર્ટને થોડી ઉદારતા દાખવવા કહ્યું હતું. કોર્ટે ૬ ઓક્ટોબરે દિલીપ રે ઉપરાંત કોલસા મંત્રાલયના તે સમયના બે વરિષ્ઠ અધિકારી, પ્રદીપ કુમાર બેનર્જી અને નિત્યા નંદ ગૌતમ, કેસ્ટ્રન ટેકનોલોજી લિમિટેડ, તેના નિર્દેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કૈસ્ટ્રન માઈનિંગ લિમિટેડને પણ દોષી જાહેર કર્યા હતા.