બેફામ નિવેદન મામલે ભાજપના કૈલાસ વિજયવર્ગીય અને કોગ્રેસના સજ્જન સિંહને ચૂંટણી પંચની નોટિસ
ચૂંટણી પંચે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને પણ આઇટમ વાળા નિવેદન અંગે સલાહ આપી
નવી દિલ્હી : ચૂંટણી પ્રચારમાં ચાલતી નિવેદનબાજીમાં નેતાઓ માન મર્યાદા અને ભાન પણ ભૂલી રહ્યા છે. આવા જ બે કિસ્સામાં ચૂંટણી પંચે ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીય અને કોંગ્રેસના નેતા સજ્જન સિંહને નોટિસ આપી છે. તો સાથે જ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને પણ આઇટમ વાળા નિવેદન અંગે સલાહ આપી છે.
કૈલાસ વિજયવર્ગીયે આપેલા ચુન્નુ મુન્નુ વાળા નિવેદન અંગે ચૂંટણી પંચે તેમને નોટિસ આપી છે અને 48 કલાકની અંદર જવાબ માંગ્યો છે. કૈલાસ વિજયવર્ગીયે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને દિગ્વિજય સિંહને ચુન્નુ મુન્નુ ગણાવ્યા હતા અને કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે બંને ઉપર આક્ષેપ કરતા કહ્યું કે બંને નેતાઓએ ગઇ સરકારમાં મતદારો સાથે વિશ્વાસઘાચત કર્યો હતો. 14 ઓક્ટોબરે સાંવરેમાં એક રેલીને સંબોધન દરમિયાન આ વાત કહી હતી.
કોંગ્રેસના સજ્જન સિંહે 15 ઓક્ટોબરે એક રેલી દરમિયાન કૈલાસ વિજયવર્ગીયને રાવણ કહ્યા હતા. તેમણે રેલી દરમિયાન કહ્યું હતું કે દશેરા જેમ જેમ નજીક આવે છે, તેમ તેમ તેમનો ચહેરો રાવણ જેવો થતો જાય છે. તેમની પાસેથી પણ જવાબ માંગ્યો છે.