મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

જામનગર પહોંચ્યો રાફેલ ફાઇટર જેટનો ત્રીજો જથ્થો : ફ્રાન્સથી 7 હજારથી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું

હવે હવાઈસેનાને કુલ 11 રાફેલની તાકાત:રસ્તામાં હવામાં જ યૂએઈના એરફોર્સ દ્વારા રાફેલમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું

નવી દિલ્હી: ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ ફાઈટર જેટનો જથ્થો બુધવારે ભારત આવી પહોંચ્યો હતો. આ ત્રણ રાફેલ ભારતીય વાયુસેનાના બેડામાં સામેલ થશે. રસ્તામાં રોકાયા નોનસ્ટોપ ત્રણેય રાફેલે 7 હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું અને રાત્રે લગભગ 9 વાગ્યે જામનગર આવી પહોંચ્યા હતા. રસ્તામાં હવામાંજ યૂએઈના એરફોર્સ દ્વારા રાફેલમાં ફ્યૂલ ભરવામાં આવ્યું હતું. તેની સાથે જ ભારતીય વાયુસેનાને રાફેલ વિમાનનો ત્રીજો જથ્થો મળી ગયો છે. ભારતમાં હવે રાફેલ વિમાનની સંખ્યા 11 થઈ ગઈ છે.

આ પહેલા ફ્રાન્સથી 4 નવેમ્બરે ત્રણ રાફેલ વિમાનનો બીજો જથ્થો ભારત આવી પહોંચ્યો હતો. પ્રથમ જથ્થામાં પાંચ રાફેલ વિમાન ગત વર્ષે જુલાઈમાં ભારત આવી પહોંચ્યા હતા અને 10 સપ્ટેમ્બરે અંબાલામાં સત્તાવાર રીતે રાફેલ જેટને ભારતીય વાયુસેનામાં સામેલ કર્યા હતા.

ભારતે ફ્રાન્સ સાથે કુલ 36 રાફેલ વિમાનની ડીલ કરી છે. હવે ત્રણ રાફેલ માર્ચ મહિનામાં અને સાત રાફેલ વિમાન એપ્રિલમાં ભારતને મળશે. તેની સાથે આવતા વર્ષે એપ્રિલ સુધીમાં દેશમાં રાફેલની સંખ્યા કુલ 21 થઈ જશે. તેમાંથી 18 ફાઈટર જેટ ગોલ્ડન એરો સ્ક્વોડ્રનમાં સામેલ કરાશે

(12:19 am IST)