ધરણા પ્રદર્શન પાછા ખેંચી લેવાતા 57 દિવસ બાદ ખુલી ચિલ્લા બોર્ડર
દિલ્હી-નોઈડા માર્ગ 57 દિવસ બાદ ટ્રાફિક માટે ફરી ખુલ્યો
નવી દિલ્હી : છેલ્લા 2 મહિનાથી ચિલ્લા બોર્ડર પર ધરણા ધરી રહેલા ભારતીય કિસાન યુનિયન (ભાનુ)એ બુધવારે પોતાના ધરણા પાછા ખેંચી લીધા છે. દિલ્હીમાં મંગળવારે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસક ઘટનાઓ અને રાષ્ટ્ર ધ્વજના અપમાનથી વ્યથિત થઈને ભાનુ જૂથે ધરણા પાછા ખેંચ્યા છે. જો કે લોક શક્તિ દળે પોતાનું વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની વાત કરી છે.
નોઈડા ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે બીકેયુ (ભાનુ)ના વિરોધ પાછો ખેંચવાની સાથે જ ચિલ્લા બોર્ડરના માધ્યમથી દિલ્હી-નોઈડા માર્ગ 57 દિવસ બાદ ટ્રાફિક માટે ફરી ખુલ્યો છે. અત્રે જણાવવાનું કે ભારતીય કિસાન યુનિયન (ભાનુ) નવા કૃષિ કાયદાના વિરોધમાં ચિલ્લા બોર્ડર પર ધરણા ધરી રહ્યું હતું. આ જ કારણે નોઈડાથી દિલ્હી જનારો રસ્તો લગભગ 57 દિવસથી બંધ હતો.