કોરોના કયારે કેડો મુકશે : આજે ૬ના મોત : ૩૦ કેસ
શહેરના કુલ કેસ ૧૦૫૬૩ થયા તેની સામે ૯૬૯૧ સાજા થયા : ગઇકાલે ૯૨ દર્દીઓને રજા અપાઇ : રિકવરી રેટ વધીને આજે ૯૨ ટકા : પોઝિટિવ રેટ ૨.૪૭ ટકા થયો : કોવિડ હોસ્પિટલોમાં ૧૯૬૭ બેડ ઉપલબ્ધ
રાજકોટ તા. ૨૬ : શહેરમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. તંત્રએ કાબુ મેળવવા રાત્રી કર્ફયુ, ચા-પાનની દુકાનોને સીલ કરવા સહિતના કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. આમ છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આજે બપોરે ૧૨ સુધીમાં ૩૦ નવા કેસ નોંધાતા કુલ ૧૦૫૬૩ કેસ થયા છે. અને શહેર જિલ્લામાં કોરોના કહેર વચ્ચે આજે વધુ ૬ વ્યકિતઓના જીવ ગયા છે. જોકે સરકારની કોવિડ ડેથ કમિટિએ આજે એક પણ કોવિડ ડેથ જાહેર નથી કર્યુ.
મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ જાહેર કર્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નવા ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે બપોરે વધુ ૩૦ કેસ નોંધાતા શહેરમાં આજ સુધીમાં કુલ ૧૦૫૬૩ કેસ થયા છે. તેની સામે ૯૫૯૯ લોકો સાજા થતાં રિકવરી રેટ ૯૨ ટકા થયા છે અને પોઝિટિવ રેટ ૨.૪૭ ટકા છે. ગઇકાલે ૯૨ દર્દીઓને રજા અપાઇ હતી.
- રાજકોટમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઘટીને ૬૬ થયા
રાજકોટ : શહેરમાં કોરોના સંક્રમણ દરમિયાન માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઘટયા હોવાનું નોંધાયું છે. આજે ૬૬ થયા છે. જેમાં શાસ્ત્રીનગર નાના મૌવા રોડ, આર.કે. પાર્ક કાલાવાડ રોડ, ફોરેસ્ટ કોલોની સાધુ વાસવાણી રોડ, રાજહંસ સોસાયટી રૈયા રોડ, જયગીત સોસાયટી કાલાવાડ રોડ, ગુલાબ વાટીકા સોસાયટી અમીન માર્ગ, રામનાથપરા, મેહુલનગર કોઠારીયા રોડ, મનહર પ્લોટ વિગેરેનો સમાવેશ થાય છે.