આ વખતે નહીં હોય પંડાલ કે નહીં હોય મેળા : યુપીમાં દુર્ગાપૂજાના જાહેર આયોજન પર પ્રતિબંધ
લખનૌ,તા. ૨૯: નવરાત્રી અને દશેરાના તહેવારો હવે આવવાની તૈયારીમાં જ છે પણ આ વખતે પંડાલ પણ નહીં સજાવાય કે મેળા પણ નહીં થાય. દુર્ગા માતાની પ્રતિમા ઘરમાં જ સ્થાપિત કરાશે. દશેરા પર રામલીલાના મંચનની પરંપરા તો નહીં તૂટે પણ તેના માટે કેટલીક શરતો અને ગાઇડ લાઇન્સનું પાલન કરવું પડશે. કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરતા સીએમ યોગી આદિત્યનાથે પોતાના અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા છે.
યોગીએ કહ્યુ કે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને દુર્ગાપૂજાના જાહેર આયોજન પર પ્રતિબંધ રહેશે. કોઇ પણ જાહેર આયોજન રોડ અથવા પંડાલોમાં નહીં થાય. પ્રજા પોતાના ઘરોમાં દુર્ગા પ્રતિમાનું સ્થાપન કરી શકાશે. દશેરા પર રામલીલાનું મંચન કરી શકાશે. પણ શરત એ રહેશે કે ૧૦૦ થી વધારે દર્શકો ન હોવા જોઇએ. આ ઉપરાંત અન્ય કોરોના ગાઇડ લાઇન્સનું પાલન કડકાઇપૂર્વક આયોજકોએ કરવું પડશે.
યોગીએ આ ઉપરાંત લગ્નમાં બેંડ વાજા અને રોડ લાઇટીંગની પરવાનગી આપતા કહ્યુ કે લગ્નના આયોજનોમાં બેંડ વાજા, રોડ લાઇટની પરવાનગી રહેશે પણ સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરીને ૧૦૦ લોકો જ સામેલ થઇ શકશે.