કોરોના મહામારી ઇફેકટ
ડિઝની ૨૮૦૦૦ કર્મચારીઓને છુટા કરાશે
ન્યુયોર્ક,તા.૩૦ : કોરોના મહામારીના કારણે દુનિયાભરમાં બેરોજગારીનો કહેર ફેલાઈ ચૂકયો છે. આ સંકટમાં હવે મનોરંજન ક્ષેત્રની જાણીતી કંપની ડિઝનીએ પણ મોટો નિર્ણય લીધો છે. કંપનીએ પોતાના થીમ પાર્કમાં કામ કરી રહેલા ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે.
કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે કોરોના મહામારીનો કહેર લાંબા સમય સુધી ચાલી રહ્યો હોવાના કારણે અમેરિકાના અનેક થીમપાર્કમાં કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.
ડિઝની પાર્કના ચેરમેને કહ્યું કે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયી છે. પરંતુ કોરોનાના કારણે કારોબાર પણ પ્રભાવિત થયા છે. સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ, ઓછા કર્માચરીની સંખ્યામાં કામ કરવું અને મહામારીની અનિશ્યિતતાના કારણે આ કામ કરવું પડી રહ્યું છે. કંપની પોતાના થીમપાર્કમાંથી ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે.
કંપનીના જણાવ્યા અનુસાર તે થીમપાર્કના લગભગ એક ચતુર્થાંશ એટલે કે ૨૮૦૦૦ કર્મચારીઓને છૂટા કરશે. ફકત ફ્લોરિડા અને કેલિફોર્નિયામાં ડિઝનીના થીમપાર્કમાં મહામારી પહેલાં ૧,૧૦,૦૦૦ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. હવે નવી નીતિના આધારે કર્મચારીઓને છૂટા કરવાની યોજના છે. ત્યારબાદ કંપનીમાં ૮૨૦૦૦ કર્મચારીઓ કાર્યરત રહેશે.