૨૪ કલાકમાં નોંધાયા ૮૦,૪૭૨ નવા કેસ : દેશમાં સંક્રમિતોની સંખ્યા ૬૨ લાખને પાર
ભારતમાં કોરોનાનો હાહાકાર : કોવિડ-૧૯ સામે લડતા ૯૭,૪૯૭ દર્દીઓને જીવ ગુમાવ્યો : હાલમાં ૯.૪૦ લાખ એકિટવ કેસ
નવી દિલ્હી તા. ૩૦ : દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા ૬૨ લાખને પાર થઈ ગઈ છે. જેની સામે ૫૧ લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. પરંતુ કોવિડ-૧૯ સામે લડતાં ૯૭ હજારથી વધુ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૪૭૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૧૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૬૨,૨૫,૭૬૪ થઈ ગઈ છે
નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૫૧ લાખ ૮૭ હજાર ૮૨૬ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૯,૪૦,૪૪૧ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૯૭,૪૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૭,૪૧,૯૬,૭૨૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૦,૮૬,૬૮૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ૨૯મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના ૧૩૮૧ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૩૮૩ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧૩૬૦૦૪ એ પહોંચી ગયો છે.