એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 23rd September 2020

" સર્વે પિતૃ શ્રાદ્ધ તર્પણ " : યુ.એસ.માં ગાયત્રી મંદિર ,ન્યુજર્સી મુકામે 17 સપ્ટે.અમાવાસ્યાના દિવસે સામુહિક આયોજન કરાયું : 200 ઉપરાંત લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે હિન્દૂ વિધિ મુજબ તર્પણ કર્યું

દિપ્તીબેન જાની દ્વારા,ન્યુજર્સી : ન્યુજર્સી સ્થિત ગાયત્રી મંદિર દ્વારા છેલ્લા 10 વર્ષથી સતત સર્વે -પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન હિન્દૂ સંસ્કાર વિધિ મુજબ જાહેર જનતાના લાભાર્થે કરવામાં આવી રહેલ છે.
સર્વ પિતૃ અમાવાસ્યા ગુરુવાર 17 સપ્ટેમ્બરના રોજ સાંજના 6 કલાકે " શ્રી ગાયત્રી ચેતના સેન્ટર " દ્વારા સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન સંપન્ન બનવા પામેલ.
ગાયત્રી ચેતના સેન્ટર ન્યુજર્સી પૂ.પંડિત શ્રી રામશર્મા આચાર્ય અને માતા ભગવતીદેવી શર્માના સૂક્ષ્મ સંચાલન તથા શ્રદ્ધેય  શ્રી ડો.પ્રણવ પંડ્યા અને શ્રદ્ધે યા  શૈલ જીજીના માર્ગદર્શન અને પ્રેરણા થકી યુગનિર્માણ યોજનાનું ભવ્ય કાર્ય કરી રહ્યું  છે.સોશિઅલ ડીસ્ટન્સનું ચુસ્ત પાલન કરીને ગાયત્રી મંદિર ,પીસકટાવે ,ન્યુજર્સી ખાતે ઉપસ્થિત તમામ ભક્તો માટે હિન્દૂ સંસ્કૃતિ મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-સામગ્રી પિંડ ,થાળી ,ફૂલ ,અબીલ ,ગુલાલ ,જળ ,તથા શ્રાદ્ધ સાંયોગિક સંપૂર્ણ વ્યવસ્થા ગાયત્રી મંદિર દ્વારા કરવામાં આવી હતી.
પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિમાં 200 જેટલા આજુબાજુના વિસ્તારોના લોકોએ ખુબ જ ભાવપૂર્વક વિધિમાં જોડાઈને લાભ લીધો હતો.ગાયત્રી મંદિરના આદરણીય શ્રી સુબોધભાઈ ,શ્રી વિનોદભાઈ ,શ્રી જસભાઈ ,તથા વડીલો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ પિતૃ તર્પણનો સમૂહ કાર્યક્રમ સંપન્ન બનેલ.પૂજામાં બેસવા  માટે કોઈ ચાર્જ - ફી ,રાખવામાં આવી ન હતી. વિધિમાં બેસનાર દરેક વ્યક્તિને પોતાના સ્વર્ગસ્થના નામ અને ગોત્રના નામ બોલાવીને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા.પોતાના મૃતક પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું વિશેષ કર્મ - શ્રાદ્ધ કરાવવાથી શ્રાધ્ધકર્તા આવાગમનના બંધનમાંથી મુક્ત થઇ જાય છે.અને મોક્ષની પ્રાપ્તિ કરે છે.તેમ ગાયત્રી  મંદિરની પૂજારી ટિમ -કાર્યકરો દ્વારા વિગતે છણાવટ કરીને સમજણ આપી હતી.ગાયત્રી સેન્ટરના કાર્યકર્તાઓના સેવા સંકલ્પ તથા સમય દાનથી મહાન કાર્ય પૂર્ણ થયેલ.

(12:00 am IST)