એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 18th November 2020

એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા સનાતન મંદિરમાં સનાતન ધર્મની ૧૮ મૂર્તિઓ સમક્ષ નૂતન વરસે ૨૫૧ વાનગીઓનો અન્નકુટ ધરાવ્યો સવાનાહ શહેરમાં વસતા ગુજરાત ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશના બહેનોએ જાતે અન્નકુટ તૈયાર કર્યો

અમદાવાદ તા.૧૮ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ગુરુકુલની શાખા અમેરિકા જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહ ખાતે વિશાળ સરોવર પાસે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર આવેલ છે.

    ગત વરસે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં મધ્ય સિંહાસનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, બાજુમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ, સીતારામ ભગવાન, તિરુપતિ બાલાજી, શ્રીનાથજી ભગવાન, શિવપાર્વતી, શ્રીઅંબામા, ઉમૈયામા, ગણપતિજી, હનુમાનજી, સૂ્ર્યનારાયણદેવ, ભકત ભોજલરામ અને જલારામબાપા વગેરે સનાતન ધર્મની તમામ ધારાઓનો સમન્વય કરતા દેવોની વિવિધ સ્વરુપોની અઢાર મૂર્તિઓ પધરાવી વૈદિક વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

    નૂતન વરસે રવિવારના રોજ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની નીચે સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઓન-લાઇન અન્નકૂટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સનાતન ધર્મની ૧૮ મૂર્તિઓ સમક્ષ ૨૫૧ વાનગીઓનો અન્નકુટ ધરાવ્યો હતો.

    આ અન્નકૂટોત્સવમાં સવાનાહ શહેરમાં વસતા ગુજરાત ઉપરાંત કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશના બહેનોએ સ્વચ્છતાનું પાલન કરી મોટા ભાગની અન્નકૂટની વાનગીઓ તૈયાર કરેલ હતી.

     તુષારભાઇ વ્યાસ અને અંકિતભાઇ રાવલના વૈદિક મંત્રગાન સાથે વેદાંતસ્વરુપદાસજી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી અન્નકૂટ દર્શન ખુલ્લા મૂક્યા હતા.

    મંદિરની નજીક રહેનારા હરિભકતોએ સ્વાસ્થ્ય સુરક્ષાના પાલન સાથે અન્નકુટના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા અને દૂર રહેનારા હરિભકતોએ ઓન-લાઇન દર્શન કર્યા હતા. ગુજરાતના ફાગણી ગામના નારણભાઇ પટેલે મુખ્ય યજમાન તરીકે સેવા બજાવી હતી.

   આ પ્રસંગે ખાસ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા નૂતન વર્ષે આશીર્વાદ આપતા જણાવેલ કે, વિક્રમ સંવત્ ૨૦૭૭ નું નૂતન વર્ષનું પ્રભાત આપ સૌના માટે સુખ, શાંતિ અને નિરામય બની રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. નૂતન વર્ષે આસ્થા અને શ્રદ્ધાનો દિપક પ્રગટાવતા રહીએ અને સત્ કર્મના સંકલ્પો રુપી સુમનોથી નૂતન વર્ષના નવા સૂરજને વધાવીએ.

    આખી દુનિયામાં કોવિડ-૧૯ ની ભયંકર મહામારીનો અંધકાર છવાયેલો છે. એનાથી હતાશ કે નિરાશ થવાની જરુર નથી. પરમાત્માની કૃપાથી આ ઘોર અંધારી રાત અવશ્ય પસાર થશે. સુખભર્યું નવલું પ્રભાત પ્રગટશે.

 

પ્રતિ, આદરણીય તંત્રી શ્રી,                                                      કનુભગત

(1:48 pm IST)