Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૫૦ હજાર છાત્રોની પરીક્ષા લેવા ઉત્સુકઃ એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટથી વિરોધ

તાત્કાલીક પરીક્ષા મોકુફ રાખવા એનએસયુઆઈની રજૂઆતઃ આંદોલનની ચિમકી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.૧૦ ડીસેમ્બરથી પરીક્ષા લેવાનાર છે તેનો વિરોધ કરવા આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પીપીઈ કીટ પહેરીને રજૂઆત કરી હતી તે સમયની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૪ :. કોરોનાની મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તા. ૧૦ ડીસેમ્બરથી ૫૦ હજાર છાત્રોની પરીક્ષા લેનાર છે તે મોકુફ રાખવા એનએસયુઆઈના કાર્યકરોએ પીપીઈ કીટ પહેરીને રજૂઆત કરી છે.

એનએસયુઆઈએ રજૂઆતમાં જણાવ્યુ છે કે કોરોનાની સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા. ૧૦ ડીસેમ્બરથી પરીક્ષા શરૂ થનાર છે, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધતા રાત્રી કર્ફયુ લાદવામાં આવ્યુ છે. સામાજિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો પણ નહી યોજવા સરકારે જાહેરનામુ બહાર પાડયુ છે. રાજકોટમાં ૧૦૦થી વધુ કોરોનાના કેસ તેમજ મૃત્યુઆંક પણ વધુ છે. આ ગંભીર સ્થિતિમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ યોજવાનો નિર્ણય વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ઉપર જોખમરૂપ સાબિત થશે.

એનએસયુઆઈ એ વધુમાં જણાવેલ કે જો યુનિવર્સિટીના સત્તાધીશો તા. ૧૦થી પરીક્ષાઓ લેવા મક્કમ હોય તો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બાબતની જવાબદારી લેવી જોઈએ. જો પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.

રજૂઆતમાં જીલ્લા પ્રમુખ રોહીતસિંહ રાજપૂત, મીત પટેલ, માનવ સોલંકી, મોહીલ ડવ, મૌલેશ મકવાણા, પાર્થ બગડા, હર્ષ આશર, મોહમદ બાવાની, હુસેનભાઈ સહિતના જોડાયા હતા.

(3:48 pm IST)