Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

'ફીયર' નહિ 'અવેર' જ આપણને બચાવશે કોરોનાથી : જ્વલંત છાયા

ચિત્રલેખાના રાજકોટ બ્યુરોના ચીફનો પ્રેરક સંદેશ

રાજકોટ તા. ૮ : કોરોનાની મહામારીના સમયમાં 'ચિત્રલેખા' મેગેઝિનના રાજકોટ બ્યુરો ચીફશ્રી જવલંત છાયા રાજકોટના લોકોને 'ફીયર' નહીં પણ 'અવેર' રાખવાનો અનુરોધ કરતાં તેમનો પ્રેરક સંદેશ આપતાં કહે છે કે, આપણે બધા જ બહુ કપરા કાળમાંથી પસાર થઈ રહયા છીએ, તે આપણે સૌ જાણીએ જ છીએ. કોરોનાનો ભરડો હજુ પણ વિશ્વને છે, આપણા રાષ્ટ્રને છે અને ગુજરાત રાજયને પણ છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ છે, એ સાચું.. પરંતુ વાયરસ હોય, કે યુધ્ધ હોય. એક બાબત તો નિશ્વિત છે કે ગભરાવાથી કંઈ નહી થાય. ગભરાટ કે ડર એ કોઈ બાબતનો ઉકેલ નથી.

 

કોરોના વાયરસના કારણે થતાં નુકશાન અને કોરોના વાયરસની અસરોથી આપણે ચોક્કસપણે સાવધાન રહેવાનું છે. માસ્ક પહેરવાનું છે, જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું જ નથી, અને જો નીકળવું જ પડે તો માસ્ક અવશ્ય પહેરવાનું જ છે. અને ઘરે જઈને નાસ લઈ લઈએ અને હાથને પણ સેનેટાઈઝ કરીએ. ટુંકમાં જે કાંઈ પણ આરોગ્યલક્ષી માર્ગદર્શિકા છે, રાજય અને કેન્દ્ર સરકારે જે - જે સૂચનાઓ આપણને માર્ચ મહિનાથી આપી છે, તેનું આપણે સતત પાલન કરવાનું જ છે. તો જ આપણે કોરોનાથી બચી શકીશું.

હા, પણ એક માત્ર વાત છે કે, આનાથી ડરવાનું નથી, જાગૃત થવાનું છે. 'ફીયર' કરતાં 'અવેર' જ આપણને કોરોનાથી સારી રીતે બચાવશે.

નિષ્ણાતો ઘણી બધી વાતો કરે છે, પરંતુ આ સમયમાં મારે એટલું જ કહેવું છે કે, આપણે આપણી શ્રધ્ધા, આસ્થા જે કોઈ પણ તત્વમાં વિશ્વાસ છે તેને દ્રઢ બનાવીએ અને મનોમન એવું વિચારીએ કે, આ કપરો કાળ પણ વીતી જશે અને ફરી વિશ્વ પૂર્વવત્ ધબકતું થશે. પણ ત્યાં સુધી ડર નહી, માત્ર સાવધાની જ રાખવાની છે. અને તો જ બહુ ઝડપથી 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(1:22 pm IST)