Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

દિપાવલી એટલે પ્રભુ મહાવીર નિર્વાણ કલ્યાણક : બેસતુ વર્ષ એટલે ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન કલ્યાણક

તીર્થપતિ તીર્થકર,વિશ્વ વંદનીય અનંત ઉપકારી શાસનપતિ શ્રી મહાવીર સ્વામી જયારે રાજગૃહી નગરીમાં ચાતુર્માસ કલ્પ વ્યતિત કરી રહ્યાં હતાં. પ્રભુના પ્રથમ માસ ક્ષમણના પારણે પંચ દિવ્ય વૃષ્ટિને નિહાળીને ગોશાલક પ્રભુ પ્રત્યે આકર્ષાયો અને પ્રભુના શિષ્ય થવાની ઈચ્છા પ્રગટ કરી પરંતુ પરમાત્માએ તે વાતનો સ્વીકાર કર્યો નહીં. થોડા દિવસો બાદ આવા જ એક પ્રસંગે ગોશાલકે પુન ૅં પોતાની શિષ્ય થવાની ઈચ્છા દોહરાવી ત્યારે પ્રભુ મૌન રહ્યાં, ગોશાલકે મૌનને સમ્મતિ સમજી પ્રભુ સાથે રહેવા લાગ્યો.

એકદા ગોશાલકે એક બાલ તપસ્વીની હસી - મજાક કરી તેમને ઉશ્કેર્યા એટલે વૈશ્યાયન નામના તપસ્વીએ ગોશાલક ઉપર તેજો લેશ્યા છોડી, પ્રભુએ કરૂણાસભર શીત લેશ્યા દ્વારા તેનું રક્ષણ કર્યું.આ ઘટનાથી ગોશાલકે પ્રભુ પાસેથી તેજો લેશ્યાની વિધિ જાણી.

ગૌતમ સ્વામીના પ્રશ્ર્ન દ્રારા પ્રભુએ પરિષદનું ધ્યાન દોર્યુ કે મંખલિ પુત્ર ગોશાલક તીર્થકર નથી એટલે કે જિન નથી પરંતુ જિન પ્રલાપી છે.આ સાંભળી ગોશાલક અતિ ક્રોધિત થયો અને આનંદ મુનિ દ્રારા અનર્થકારી ધમકી આપી કે હું મારા તપ તેજથી મહાવીરને બાળીને ભસ્મીભૂત કરી નાખીશ. પ્રભુએ દરેક સંતોને સાવચેત કરી દિધા કે ગોશાલક માર માર કરતો આવશે તમો બધા આત્મ ભાવમાં રમણતાં કરજો.

પ્રભુ મહાવીરે સર્વે સંતોને સાવચેત કરી દિધેલ છતાં પ્રભુ મહાવીર પ્રત્યેના અહોભાવ અને અત્યંત ભકિતભાવને કારણે સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર નામના આ બે મુનિરાજોએ ગોશાલકને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, ક્રોધિત ગોશાલકે બંને સાધુઓ ઉપર તેજો લેશ્યા છોડી બાળીને ભડથુ કરી દિધા.એટલું જ નહીં ખુદ પરમ કૃપાળુ પરમાત્મા ઉપર પણ તેણે તેજો લેશ્યા છોડી. તીર્થકર પ્રભુના પરમ પુણ્યોદયે પ્રભુ બચી ગયા.

ગોશાલકનો પ્રહાર અસફળ રહેવાથી તે વધુ ક્રોધિત થઈ અનર્થકારી ભાષા બોલવા લાગ્યો કે આજથી છ મહીનામાં જ તમો છદમસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામશો.તેના પ્રત્યુત્ત્।રમાં પ્રભુએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે...હે ગોશાલક ! હું તો આ પૃથ્વીના પટ ઉપર હજુ ૧૬ વર્ષ સુધી અપ્રતિબધ્ધ પણે ગંધ હસ્તિની માફક તીર્થકર પણે વિચરવાનો છું,પરંતુ તું પોતે જ દાહ જવરથી પીડિત થઈ સાત દિવસમાં મૃત્યુને પામીશ.પ્રભુ મહાવીરે ચતુર્વિધ સંઘને ચિંતામાંથી મુકત કરવા સિંહા નામના અણગારને રેવતિ ગાથાપતિના ઘરેથી બીજોરાપાક લાવવા માટે ગોચરીએ મોકલ્યા.

પ્રભુએ ગોશાલકને આપેલા પ્રત્યુત્તરના આધારે દરેક ભાવિકો ચાતુર્માસની ગણતરી કરવા લાગ્યાં. જોતજોતામાં હસ્તિપાલ રાજાની પૂણ્યશાળી પાવાપુરી નગરીમાં અંતિમ ચાતુર્માસ માટે મંગલ પદાર્પણ થયું.પરમાત્માનો અમૂલ્ય અને અપૂર્વ લાભ લેવા માનવ મહેરામણ પાવાપુરીમાં આવી રહ્યો હતો.અઢાર દેશના રાજાઓ પણ બે દિવસના ઉપવાસ કરી ચતુરંગી સેના સાથે પાવાપુરીમાં આવી પહોંચ્યા. પ્રભુના શ્રીમુખેથી સોળ પ્રહર સુધી અવિરતપણે અસ્ખલિત જિનવાણીનો ધોધ વહી રહ્યો હતો.પ્રભુએ સુખ વિપાક સૂત્રના પંચાવન અધ્યયન અને દુઃખ વિપાક સૂત્રના પંચાવન અધ્યયન ફરમાવ્યા. પરીષદમાં ઉપસ્થિત સૌ પ્રભુને અનિમેષ દ્રષ્ટિએ નીરખી રહ્યાં હતાં. તહ.. ચિત્ત, તહ મને પ્રભુની દેશના શ્રવણ કરી ધન્ય બની રહ્યાં હતાં. ચરમ અને પરમ તીર્થકર કરૂણાસાગર પરમાત્માએ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીશ અધ્યયન ફરમાવી આસો વદ અમાસના દિપાવલીના શુભ દિવસે અનંતા સિદ્ઘ ભગવંતોની સાથે જયોતમાં જયોત મીલાવી સિદ્ઘ - બુધ્ધ અને મુકત થઈ નિર્વાણ પામ્યા.

પ્રભુના પટ્ટધર શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પણ પ્રભુ પ્રત્યેનો રાગ ભાવ દૂર થવાથી કેવળ જ્ઞાન - કેવળ દર્શનને પામ્યાં.

સંકલન : મનોજ ડેલીવાળા, રાજકોટ.

મો. ૯૮૨૪૧ ૧૪૪૩૯

(1:27 pm IST)