Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મ.ન.પા. દ્વારા આજે વધુ ૧૨ સહિત કુલ ૩૨ ધન્વંતરી રથ દોડતા કરાયા

રાજકોટ તા. ૧૪ : મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, શહેરમાં કોરોના વાયરસની સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત GVK દ્વારા થોડા દિવસ પહેલા ૧૫ ધનવંતરી રથ શરૂ કરાયેલ તેમાં વિશેષ ૧૦ રથ મળી ૨૫ રથ કાર્યરત હતા તેમાં વિશેષ આજે ૧૨ સાથે કુલ ૩૭ ધનવંતરી રથ કાર્યરત.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ ૪૮ ધનવંતરી રથ ૪૯ સંજીવની રથ, ૧૦૪ વ્હીકલ, ટેસ્ટીંગ વાન ૩૬ કોરોના અંતર્ગત ફીલ્ડવર્ક કરી રહેલ છે.

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની ખુબ જ જરૂર છે. ખાસ કરીને સિનિયર સીટીઝન અને બાળકોને કામ સિવાય ઘરની બહાર જવું જ નહિ. તેમજ તાવ, શરદી, ઉધરસના સામાન્ય લક્ષણ જણાય તો પણ કોઇપણ જાતના ગભરાટ રાખ્યા વગર કોરોના ટેસ્ટ કરાવી લેવો. આ ઉપરાંત, કોરોનાની સામે રામબાણ ઈલાજ એટલે કે, ૪૫ વર્ષથી ઉપરના બાકી રહેતા લોકોએ વહેલાસર કોરોના સામેની રસી લઇ લેવા તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ કરેલ છે અને લોકોને પોતાના ઘરમાં જ કોરોન્ટાઇન રહેવા જણાવવામાં આવે છે. કોરોના વાઇરસ ચેપી રોગ હોવાથી ઘરની બહાર નીકળવાથી અન્ય લોકોને પણ કોરોના વાઇરસનો ચેપ લાગે છે જેનાથી પોતાની અને બીજા માનવની જિંદગીને જોખમમાં મુકાય છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દી ઘરે સારવાર હેઠળ હોય ત્યારે તેને સંપૂર્ણ સારવાર ઘરે જ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંજીવની રથ કાર્યરત છે. જેથી ઘરની બહાર ન નીકળવા  મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્વરીબેન ડોડીયાએ શહેરીજનોને અપીલ કરેલ છે.

(3:45 pm IST)