Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મ.ન.પા.ની માઇક્રોપ્લાનીંગ ઓ.પી.ડી.ને કારણે....

સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.માં ૫૦ ટકા દર્દીઓનો ઘટાડો

ડોર ટુ ડોર સર્વેલન્સ, ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્ર પર થતી કામગીરીના પરિણામે ઓ.પી.ડી.માં ઘટાડો થયો : મ્યુ.કમિશ્નરનો દાવો

રાજકોટ,તા.૧૪:  શહેરને કોરોના મુકત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે, દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. વિભાગ શરૂ કરવામાં આવેલ છે, જેમાં રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર શહેરને આવરી લેતો ડોર ટુ ડોર સર્વે હાથ ધરતા સિવિલમાં મનપાની ઓપીડીમાં આવતા દર્દીઓની સંખ્યમાં ઘટાડો થયો છે.

રાજકોટ મનપાના ૬ ડોકટરો, ૬ GNM, ૯ ફાર્માસીસ્ટ અને ૧૨ MPHW સહિતના કુલ ૩૦ વધુ સ્ટાફ દ્વારા સિવિલ ખાતેની મનપાની ઓપીડીમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે, અહી નોર્મલ ઓ.પી.ડી., ફ્લુ ઓ.પી.ડી. અને એન્ટીજન ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવે છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે, શહેરના દુર દુરના વિસ્તારોમાંથી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને જાણકારી આપવામાં આવે છે કે આપના નજીકના વિસ્તારના આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામુલ્યે સારવાર લઇ શકો છો, જરૂરી જણાયે ધનવંતરી રથ દ્વારા પણ ચેકઅપ કરાવી શકાય છે. શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે આશરે ૪૦૦ થી ૪૫૦ ની ઓ.પી.ડી. રહેતી હતી જે હાલ સરેરાશ ૧૭૫ થી ૨૦૦ ની થઇ ગયેલ છે, મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત માર્ગદર્શન, મનપા દ્વારા ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ, ધનવંતરી રથ અને આરોગ્ય કેન્દ્રની કામગીરીના પરિણામે સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. માં સતત ઘટાડો નોંધાયો છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા હાલ ૧૨૦૦ થી વધુ ટીમો બનાવીને ઘેર ઘેર જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં શંકાસ્પદ જણાતા વ્યકિતઓને તુર્ત જ સારવાર આપવામાં આવે છે, મનપાના ૫૦ ધનવંતરી રથ દ્વારા પણ સઘન કામગીરી થઇ રહી છે, લોકોને સિવિલ હોસ્પિટલ સુધી જવાની જરૂર ન પડે તે માટે ઘર આંગણે જ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે.

(3:48 pm IST)