Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

અભયભાઈને જરૂર પડ્યે ઓકિસજન અને કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ સંતુલિત કરવા એકમો મશીનની મદદ લેવાશે : ડો. અતુલ પટેલ

રાજકોટ, તા. ૧૬ : રાજયસભાના સાંસદ અને રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વારની તબીયત કોરોના સંક્રમણને લીધે વધુ ગંભીર થતા ગઈસાંજે અમદાવાદના સ્પેશ્યિલ રોગ નિષ્ણાંત તબીબોની ટીમે રાજકોટ પીડીયુ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ તબીબોએ અભયભાઈ ભારદ્વાજના ફેંફસામા ઓકસીજન અને કાર્બન ડાયોકસાઈડનુ સંતુલિત રહેતુ ન હોવાથી લોહી ગંઠાઈ રહ્યા હોવાનુ નિદાન થયુ છે. ચેપીરોગના નિષ્ણાંત ડો. અતુલ પટેલે રાજકોટ હવાઈ મથકે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે, જરૂર પડ્યે તેઓને એકમો મશીનની મદદથી ઓકસીજનનુ પ્રમાણ સંતુલિત થાય તે માટે સારવાર આપવામા આવશે. આ મશીન રાજકોટમા ઉપલબ્ધ છે.

અમદાવાદના ડોકટરોની ટીમની સાથે રાજકોટના ડો. ચિરાગ માત્રાવાડીયા, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો. ધિરેન તન્નાએ શ્રી અભયભાઈને અપાઈ રહેલી સારવાર અંગે પરામશ કર્યો હતો.

હવાઈ માર્ગે રાજકોટના પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા અને તબીબોની ટીમ જેમા ચેપીરોગના ખાસ નિષ્ણાંત ડો. અતુલ પટેલ, ફેંફસાના રોગના નિષ્ણાંત ડો. તુષાર પટેલ અને હૃદયરોગના નિષ્ણાંત ડો. આનંદ શુકલાએ રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં સાંસદ શ્રી અભયભાઈની તબીયત અંગે વિશેષ તપાસ કરી જરૂરી સારવાર શરૂ કરાવી કોવિડ હોસ્પિટલમા અન્ય કોરોના સંક્રમિત દર્દીઓને અપાતી સારવારનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ.ડો. તુષાર પટેલે કહ્યુ હતુ કે, રાજકોટની પીડીયુ હોસ્પિટલમા કોરોના દર્દીઓ માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ છે તેમ જણાવીને દર્દીઓને એઈમ્સ જેવી જ સારવાર મળી રહી છે તેવો પ્રતિભાવ આપ્યો હતો.

પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પીડીયુ હોસ્પિટલ ખાતે નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા અને અન્ય તજજ્ઞ સાથે રાજકોટમા કોરોના દર્દીઓને અપાઈ રહેલી અદ્યતન સારવાર અંગે પરામર્શ કર્યો હતો. હોસ્પિટલની મુલાકાત વેળાએ સરદાર પટેલ જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા, અગ્રણી શ્રી કમલેશ મીરાણી, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી મનીષભાઈ રાડીયા, અધિક કલેકટર શ્રી પરીમલ પંડ્યા, સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:47 pm IST)