Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

રાજકોટના ૧,૧૧૧ કડવા પાટીદાર પરિવારે માં ઉમિયાના ચરણોમાં પૂજિત 'ઈકો ફ્રેન્ડલી' ગરબા ઘેર પધરાવ્યા

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન (ઉમિયાધામ) રાજકોટની મહિલા મંડળ દ્વારા ગરબો તથા ગરબાવલીનું નિઃશુલ્ક વિતરણઃ કાચી માટીનો ગરબો નવરાત્રી પૂર્ણ થયે મંદિરમાં પધરાવવા જવું નહિ પડેઃ ઘરે જ પાણીમાં પધરાવી શકાશે

રાજકોટઃ શહેરમાં વસતા ૧,૧૧૧ કડવા પાટીદાર પરિવારે આ વર્ષે પર્યાવરણ અને પવિત્રતા જળવાય રહે તેવા સંકલ્પ સાથે 'ઈકો ફ્રેન્ડલી' ગરબા ઘેર પધરાવ્યા છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન (ઉમિયાધામ) રાજકોટના મહિલા મંડળના આ આવકાર્ય અને પ્રેરક આયોજનને રાજકોટમાં વસતા પાટીદાર પરિવારે જબ્બર આવકાર આપ્યો હતો.

સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) ખાતેથી આ વિશેષ ગરબાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. ગરબા સાથે પ્રાચીન જાણીતા ગરબા અને માં ઉમિયાની વધુ ગવાતી ત્રણ આરતી સાથેની ગરબાવલી પણ દરેકને નિઃશુલ્ક આપવામાં આવી હતી.

સામાન્ય રીતે નવરાત્રી પૂર્ણ થયે લોકો ગરબો આસપાસના મંદિરમાં પધરાવતા હોય છે. ઘણી વખત મંદિરમાં પધરાવાયેલા ગરબાની પવિત્રતા પાછળથી જળવાતી નથી. મંદિર સંચાલકોને પણ મોટી સંખ્યામાં પધરાવતા ગરબાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાને રાજકોટના કડવા પાટીદાર પરિવારને આપેલા 'ઈકો ફ્રેન્ડલી' ગરબાની વિશેષતા એ છે કે, તે સંપૂર્ણપણે કાચી માટીમાંથી તૈયાર થયો છે. તેના પર કોઈ કેમિકલ રંગ નથી લગાડયા પણ ત્યાગ- સમર્પણના પ્રતિક જેવો ગેરૂ લગાડવામાં આવ્યો છે. નવરાત્રી પૂર્ણ થયે, આ ગરબો પોતાના ઘેર જ પાણીમાં ડૂબાડી દેવાતા તે સંપૂર્ણ માટીમાં ફેરવાઈ જશે. આ પવિત્ર માટી તુલસી કયારામાં કે ઘરના ફૂલ-છોડના કુંડામાં કે બગીચામાં પધરાવી દેવાતા પર્યાવરણ અને પવિત્રતા બંને જળવાશે એમ શ્રી અરવિંદભાઈ પટેલે ઉમેર્યું હતું.

ઈકો ફ્રેન્ડલી ગરબાની બીજી વિશેષતા એ છે કે, લોકો ગરબો ઘેર પધરાવે અને સ્થાપન થાય તે માટે જરૂરી તમામ ગરબાનું પૂજન પણ વિતરણ પહેલા શાસ્ત્રોગત વિધિથી શ્રી પટેલ સેવા સમાજ (સ્પીડવેલ પાર્ટી પ્લોટ) ખાતે જ કરાયું હતું. આ પૂજન કડવા પાટીદાર પરિવારના કુળદેવી માં ઉમિયાનામ સાનિધ્યમાં સંપન્ન થયું હતું.  કંચનબેન મકાતી, વીણાબેન ઘોડાસરા, શ્વેતાબેન મકવાણા તથા મહિલા મંડળના પ્રમુખ વિજયાબેન વાછાણી, તેમજ હેતલબેન કાલરીયાના હસ્તે આ પૂજનવિધિ કરવામાં આવી હતી.

દરેક પરિવારને નિઃશુલ્ક ગરબા સાથે ગરબાની એક પુસ્તિકા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી. આ ગરબાવલીમાં આદ્યશકિતની આરતી, વિશ્વભરીની સ્તુતિ, ઉમિયા માતાજીની વધુ ગવાતી ત્રણ આરતી ઉપરાંત આપણી પ્રાચીન પરંપરાના ગરબા સામેલ કરાયા છે, જેથી પરિવારના લોકો પ્રાચીન પરંપરા સાથે પણ જોડાયેલા રહે.

ગરબા અને ગરબાવલીના વિતરણ માટે સવારથી સાંજ સુધીનો સમય પણ સોશ્યલ ડીસ્ટસીંગ જળવાય રહે તે માટે રખાયો હતો. એ જ રીતે ગરબા પૂજનમાં પણ સોશ્યલ ડીસ્ટસીંગની પૂરી તકેદારી રાખવામાં આવેલ હોવાનું સંસ્થાના પ્રવકતા મનિષભાઈ ચાંગેલાની યાદીમાં જણાવાયું છે.

(3:48 pm IST)