Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

આશ્વાસનના બે શબ્દો દર્દીઓ માટે કોરોના મુકત થવાની જડીબુટી છેઃ ડો. ભાનુભાઇ મેતા

રાજકોટ તા. ૨૧ : કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનાથી ડર અનુભવી રહ્યા છે, આ કપરાકાળમાં ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓ દર્દીઓને કોરોના મુકત કરવાની સાથે સાથે તેમના મનમાંથી કોરોનાના ડર ને પણ નાબૂદ કરે છે, આવા જ એક અનુભવી આયુર્વેદિક ફિઝિશ્યન છે ડો. ભાનુભાઈ મેતા, જેમણે બી. જી. ગરૈયા કોવિડ કેર સેન્ટર અને સમરસ બોયઝ હોસ્ટેલમાં દાખલ અનેક દર્દીઓને દવાઓ સાથે માનસિક સધિયારો પૂરો પાડીને તેમને કોરોના મુકત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.

આ વિશે વાત કરતા ડો.ભાનુભાઇ જણાવે છે કે, 'હું જયારે પ્રથમ વખત કોરોના સંક્રમિત વ્યકિતના ઉપચાર માટે તેની પાસે ગયો ત્યારે મને સમજાયુ કે તેના મનમાં કોરોનાનો ડર અને ગેરસમજ ફેલાયેલી છે, સ્વાભાવિક છે કે અન્ય દર્દીઓને પણ આ જ અનુભતી થતી હશે એટલે મે દર્દીઓના મનમાંથી કોરોનાની ગેરસમજ અને ડર આ બન્નેને જડમુળથી દૂર કર્યા, મે તેમને સમજાવ્યું કે જરૂરી નથી કે તમે સંક્રમિત થયા એટલે અસાધ્ય રોગ થયો છે, સુયોગ્ય ઉપચાર અને મક્કમ મનોબળ દ્વારા આપણે સાથે મળીને કોરોનાને પરાસ્ત કરીશું, નિદાનની મારી આ પધ્ધતિ દરેક દર્દીના ઉપચારમાં કારગત નીવડી, મૂળ તો હું દર્દીઓના આહાર અને વિહાર અંગે યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરતો અને દવાઓના નિયમીત ઉપચાર સાથે તેના ડરને દૂર કરતો, કોરોના કેર સેન્ટરમાં કોરોના મુકત થયા બાદ જયારે દર્દીઓ સ્વસ્થ્ય થઈને વિદાય લેતા એ વખતે તેઓ મારો આભાર વ્યકત કરતા, તેમના પ્રતિભાવો એ જ મારી સાચી મૂડી છે, મારા મતે કોરોનાના દર્દીઓ માટે આશ્વાશનના બે શબ્દો, એ કોરોના મુકત થવાની જડીબુટી છે.' આમ, ડો. ભાનુભાઈ મેતા જેવા આરોગ્યકર્મીઓની આત્મીયતાસભર સારવાર થકી અનેક દર્દીઓ કોરોના મુકત થઈ રહ્યા છે.

(2:53 pm IST)