Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ડાયાબીટીસ, બ્લડપ્રેશર, શ્વાસ, કિડનીની તકલીફ છતાં ૭૨ વર્ષના સિરીનબેન થયા સાજા

સિવિલ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવારથી કોરોનાને હરાવ્યો

રાજકોટ : રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો અથવા તો તાવ શરદી ઉધરસ હોય તો તાત્કાલિક સામેથી ટેસ્ટ કરાવીને તબીબની સલાહ મુજબ હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવે તો દર્દી જલ્દી સાજા પણ થઈ જાય છે. સમયસર સારવાર મળી જાય તો બીજી બીમારી હોય તો પણ કોરોનાથી સાજા થઇ શકાય છે.

રાજય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને સારામાં સારી શ્રેષ્ઠ સારવાર મળે તે માટે કોવીડ હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે.

 ૭૨ વર્ષના સીરીનબેન ત્રવાડી દાઉદી વ્હોરાને ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કિડની અને શ્વાસની થોડી ઘણી તકલીફ હતી અને એ દરમ્યાન તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમને બે દિવસ સઘન સારવાર આપ્યા બાદ રાહત થતાં સમરસ કોવીડ સેન્ટરમાં આઠ દિવસ સારવાર આપવામાં આવી હતી.

બીજી બીમારી છતાં સરકારી હોસ્પિટલમાં મળેલી સારામાં સારી સારવારથી સ્વસ્થ થઇ જતા રાજીપો વ્યકત કરતા સીરીનબેને જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ દ્વારા સારામાં સારી સારવાર આપવામાં આવે છે. જમવાની અને બીજી પણ વ્યવસ્થા સારી છે. હું પ્રથમ દિવસે ઉભી પણ થઈ શકતી ન હતી એટલી નબળાઈ હતી પરંતુ દસ દિવસમાં સંપૂર્ણ સારું થઈ જતા તેમણે સરકારી હોસ્પિટલના તબીબો અને તંત્રનો આભાર માન્યો હતો. સીરીન બેનના પુત્ર શૈફુદિનભાઇ ત્રવાડીએ કહ્યું કે  તેમના માતાને સમયસર અને સારી સારવાર મળી જતા કોરોનાથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હતી.

સમરસ કોવીડ કેર સેન્ટરના ડો.મેહુલ પરમારે જણાવ્યું હતું કે લોકોએ કોરોના અંગેની ખોટી અફવા થી દૂર રહેવું જોઈએ. શરીરમાં કોઈપણ પ્રકારની તકલીફ હાલની સ્થિતિમાં પડે તો તાત્કાલિક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. બીજી બીમારી હોય તો પણ ગભરાયા વગર સમયસર સારવાર કરી લેવાથી કોરોનાથી સાજા થઇ શકાય છે. ૭૨ વર્ષના માજીને બીજી ઘણી બીમારી હતી પરંતુ વ્યવસ્થિત  સારવાર મળી જતાં તેમને સંપૂર્ણ સારું થઇ ગયું છે તેમ જણાવીને તબીબે લોકોને સાવચેત રહેવા જરૂરી દરકાર રાખવા અને જરૂરી કાળજી રાખવા અને કોઈ પ્રકારના લક્ષણો હોય તો ટેસ્ટ કરાવવા જણાવ્યું  હતું.

(2:54 pm IST)