Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પ્રજા ભાજપ મુકત બને તેમાં પૂરતો સહયોગ આપીશ : ઇન્દ્રનિલ

ઘરવાપસીનો ખૂબ જ આનંદ : પક્ષ જે જવાબદારી સોંપશે તે દિલથી નિભાવીશ : રાજકોટ - ગુજરાતના આગેવાનોની સાથે રહી ભાજપને ધારદાર લડત આપીશું : પૂર્વ ધારાસભ્યની ઘરવાપસીથી શહેર કોંગ્રેસ મજબૂત બન્યું

રાજકોટ તા. ૨૫ : રાજકોટના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનિલ રાજ્યગુરૂએ ફરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ગઇસાંજે દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ઘરવાપસી કરી હતી. દરમિયાન શ્રી ઇન્દ્રનિલ રાજ્યગુરૂએ 'અકિલા' સાથેની વાતચીતમાં ખોખારો નાખતા કહ્યું હતું કે, પ્રજા ભાજપ મુકત બને તે માટે પૂરતો સહયોગ આપીશ. રાજકોટ - ગુજરાતના કોંગી આગેવાનોની સાથે રહી ભાજપને જોરદાર લડત આપીશું.

તેઓએ જણાવેલ કે, ભાજપ ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને ધાકધમકીના વાતાવરણમાં ગળાડૂબ છે જેને રોકવાનો હું પ્રયત્ન કરીશ. લોકોને પડતી મુશ્કેલીઓને દુર કરવા પૂરતા પ્રયત્નો કરીશ. ફરી ઘરમાં પહોંચવાનો ખૂબ આનંદ છે. પોતાના લોકો સાથે ફરી કામ કરવાનો આનંદ આવશે.

શ્રી રાજ્યગુરૂએ વધુમાં જણાવેલ કે શહેર કોંગ્રેસના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે કામ કરીશ અને તેઓને ઉપયોગી બનીશ. શહેર કોંગ્રેસ કે પ્રદેશ લેવલે જે જવાબદારી સોંપવામાં આવશે તે પૂરા દિલથી નિભાવીશ. નગરજનો ભાજપથી ત્રાહીમામ પોકારી ગયા છે. પ્રજા ભાજપ મુકત બને તે માટે પૂરતા પ્રયત્નો કરીશ.

ઉલ્લેખનિય છે કે ઇન્દ્રનિલભાઇ થોડા સમય અગાઉ જ કોંગ્રેસમાં જોડાઇ જવાના હતા. પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત હોય તેઓએ સારવાર કરાવ્યા બાદ ગઇસાંજે ફરી કોંગ્રેસમાં જોડાયા હતા. ઇન્દ્રનિલભાઇના આગમનથી શહેર કોંગ્રેસ મજબૂત બની છે. તેઓ આજે સાંજે ગાંધીનગરથી રાજકોટ પરત ફરી રહ્યા છે.

(11:44 am IST)